નવરાત્રીના (Navratri 2022) પર્વની શરૂઆત થઇ છે. અલગ અલગ સંગઠન અને સંસ્થાઓ દ્વારા રાસ ગરબાના (Garba) આયોજનો થઇ રહ્યા છે ત્યારે લેઉવા પાટીદાર સમાજના આસ્થાના પ્રતિક એવા ખોડલધામ (Khodaldham Trust) સંસ્થા દ્વારા રાજ્યમાં અલગ અલગ સ્થળોએ 25 જેટલા આયોજનો કરવામાં આવે છે. આ આયોજનની વિશેષતા એ છે કે એન્ટ્રી પોઇન્ટથી લઇને સ્ટેજ સુધીની તમામ વ્યવસ્થાઓ રાજ્યમાં એકસરખી રાખવામાં આવી છે.
ખોડલધામ દ્વારા રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં એન્ટ્રીથી લઇને સ્ટેજ સુધીની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એન્ટ્રી પોઇન્ટ પર કંતાનથી રંગબેરંગી દુપટ્ટાઓથી શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટેજ પર વિશેષ સુશોભન કરાયું છે. આમંત્રિત મહેમાનો માટે સ્ટેજની બાજુમાં ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જો કે ખોડલધામના નિયમ પ્રમાણે સ્ટેજ પર કોઇપણ મહાનુભાવોને પ્રવેશ આપવામાં આવશે નહીં. ખોડલધામના દરેક આયોજનમાં આરતી પણ એકસરખી રાખવામાં આવી છે. આ નિયમોમાં કોઇ ફેરફાર કરવો હોય તો ખોડલધામ ટ્રસ્ટની પૂર્વ મંજૂરી લેવી પડશે.
ખોડલધામના આયોજનમાં વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ વખતે ખોડલધામ દ્વારા જે તે વ્યવસ્થા કમિટીને જે તે વિસ્તારના તમામ સમાજના આગેવાનોને આમંત્રણ આપવાની સૂચના આપવામાં આવી છે. માત્ર લેઉવા પાટીદાર સમાજના આગેવાનો નહિ પરંતુ તમામ જ્ઞાતિના લોકોને તથા તમામ પક્ષના લોકોને આમંત્રણ આપીને તેના સ્વાગત સન્માનનું આયોજન કરવાની સૂચના અપાઇ છે.
રાજ્યમાં કુલ 25 સ્થળોએ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના ચાર ઝોનમાં, સુરત, અમદાવાદ, ગોંડલ, અમરેલી, જામનગર સહિતના જિલ્લાઓમાં આયોજન કરાયું છે. તમામ સ્થળોએ વ્યવસ્થાની તમામ જવાબદારી ખોડલધામની વિવિધ સમિતીઓ દ્વારા રાખવામાં આવી છે.
આયોજનની જવાબદારીથી લઇને ખર્ચ સુધીની દેખરેખ ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવે છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા જે પણ આવક થાય છે તેનો હિસાબ ટ્રસ્ટને સોંપવામાં આવે છે. પાસના ભાવથી લઇને સ્પોન્સર અને દાતાઓ દ્વારા જે પણ દાન આપવામાં આવે તે દાનની રકમ ખોડલધામમાં જમા કરાવવાની રહેશે.