Mahavir Jayanti 2021: અહિંસાના પ્રભાવથી વિશ્વને ભય મુક્ત બનાવી શકાય છે
Mahavir Jayanti 2021: જૈન ધર્મમાં મહાવીર સ્વામીએ આશરે 2,500 વર્ષ પહેલા જે અહિંસાનો સિદ્ધાંત આપ્યો છે તેનો અમલ કરે તો દુનિયામાં સ્વર્ગની સ્થાપના થઈ શકે છે.
Mahavir Jayanti 2021: જૈન ધર્મમાં મહાવીર સ્વામીએ આશરે 2,500 વર્ષ પહેલા જે અહિંસાનો સિદ્ધાંત આપ્યો છે તેનો અમલ કરે તો દુનિયામાં સ્વર્ગની સ્થાપના થઈ શકે છે. ભગવાન મહાવીર સ્વામીએ દરેક આત્માને એક સમાન ગણી કોઈ પણ જીવની સ્થૂળ કે સુક્ષ્મ હિંસા ન થાય તેની જાગૃતિ રાખવી તેને અહિંસા ગણી છે. લોકોના સ્વભાવમાં રહેલો લોભ, પરિગ્રહ વૃત્તિએ પાપનું મૂળ છે અને જેમ જરૂરિયાતો ઓછી હોય તેમ હિંસા પણ ઓછી થતી જાય છે. ડૉ. જગદીશચંદ્ર બોઝે જે સમયે સાબિત કર્યુ કે વનસ્પતિમાં જીવ છે તેના ઘણાં વર્ષો પહેલા વનસ્પતિમાં જીવ છે એ જૈન ધર્મમાં સિધ્ધાંતિક રીતે સાબિત થયેલ છે.
કર્મના સિદ્ધાંત પ્રમાણે જેવુ વાવો તેવુ જ લણો છો એટલે કે આપણા કર્મો આપણી સામે ફળ રૂપે આવતા હોય ત્યારે કર્મ કરતા પહેલા કર્મના ફળને જોઈ શકાય છે અને સારા ફળ ચાખવા હોય તો સારા કર્મો અનિવાર્ય છે. આજે આપણે જોઈ રહ્યા છે કે કોરોના વાઈરસ ચાઈનાના વુહાનમાંથી હાલતા ચાલતા દરેક જીવને ખાઈ જવાની વૃત્તિમાંથી પેદા થયેલુ છે તે જ રીતે આપણે જ્યારે વનસ્પતિઓને કાપીએ છીએ, ત્યારે તેમાં વસતાં હજારો, લાખો, કરોડો વાઈરસો હવામાં ભળી જાય છે, પરિણામે વનસ્પતિ અને પ્રાણીઓ માટે ખતરો બનતા માણસો માટે વાયરસ પોતે ખતરા રૂપ બને છે.
પૃથ્વીની રચનાએ રીતે થયેલ છે કે દરેક જીવ આપણને ભલે બિનઉપયોગી લાગતો હોય, પરંતુએ આપણા અસ્તિત્વને ટકાવવામાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. દરેક જીવ પોતે જીવવા ઈચ્છે છે તે હાલની પરિસ્થિતી જોતા ખ્યાલ આવે છે કે માણસની અંદર મૃત્યુનો કેટલો બધો ભય રહેલો છે. અહિંસાનો સિદ્ધાંતએ એક એવો સિદ્ધાંત છે કે તે દરેક જીવને અભયનું દાન આપે છે.
જૈન ધર્મના અનુયાયીઓએ શક્ય હોય તેટલો ભગવાન મહાવીરમાં અહિંસાના સિદ્ધાંતને શિક્ષણ દ્વારા લોકો સુધી પહોંચાડવો જોઈએ, જેથી કરીને જીવ હિંસાને અટકાવી શકાય. દરેક વ્યક્તિમાં બીજા જીવ પ્રત્યે પ્રેમ, કરૂણા અને અનુકંપા હોય તો અહિંસાના સિદ્ધાંતનું સહેલાઈથી પાલન કરી શકાય તેમ છે. કોઈ પણ પ્રકારની હિંસા સૌથી પહેલા માણસના વિચારમાં જન્મે છે એટલે જો તમારા વિચાર સકારાત્મક હોય અને દરેક જીવ પ્રત્યે પ્રેમની ભાવના હોય તો વિચારમાં આવેલી હિંસા પ્રત્યે તે વ્યક્તિ સંવેદનશીલ બનશે અને નકારાત્મક વિચારોને અમલમાં મુકશે નહીં, જેથી કરીને વિચારોનું શુદ્ધિકરણ અતિઆવશ્યક છે.