Mahajati Gujarati: યુવાનોને યોગ્ય વાતાવરણ મળે તો, ધર્મના માર્ગે વળે છે અને સતકાર્યો કરે છે : બ્રહ્મવિહારી સ્વામી
Mahajati Gujarati: એકનો એક જોક વારંવાર સાંભળીને આપણે હસી શકતા નથી તો એકનું એક દુ:ખ વારંવાર યાદ કરી શા માટે દુ:ખી થવું, વ્યથા ભુલવા માણસનું મન શાંત હોવું જરૂરી છે અને આ શાંતિ, અહમ અને ઘમંડનો ત્યાગ કરવાથી જ મળશે' આ શબ્દો BAPSના બ્રહ્મવિહારી સ્વામીના છે, આવો વાંચીએ TV9 સાથેની ખાસ વાતચીતમાં સ્વામીએ દેશના યુવાધનને શું સંદેશ પાઠવ્યો.
‘આખી દુનિયામાં યુધ્ધના ઇતિહાસ મળશે પરંતુ શાંતિના પુરાવા ખુબ ઓછા મળશે’ યુવાનોને શાંતિનો સંદેશ પાઠવતા આ શબ્દો BAPSના બ્રહ્મવિહારી સ્વામીના છે, સ્વામીએ મહાજાતી ગુજરાતી કાર્યક્રમ અંતર્ગત TV9 ગુજરાતી સાથે ખાસ વાત-ચીત કરતા જણાવ્યુ કે ગુજરાતી જ્યાં હોય ત્યાં ઇમાનદારીથી તેના કુટુંબની, સમાજની અને રાષ્ટ્રની સેવા કરે છે તે શ્રેષ્ઠ ગુજરાતી છે, વિશ્વમાં આર્થિક કે સામાજીક દ્રષ્ટીએ ગુજરાતીનો ફાળો બહોળો છે. સમર્પણ, હાર્ડવર્ક અને પ્રેમાળ સ્વભાવને કારણે ગુજરાતીઓ આખા વિશ્વમાં છવાયેલા છે,અને પોતાની આગવી ઓળખ પણ ઉભી કરી છે, સંપ્રદાય સાથે જોડાયેલા યુવાનો માટે જણાવતા બ્રહ્મવિહારી સ્વામી કહે છે કે શતાબ્દી મહોત્સવનું આયોજન થઇ રહ્યુ છે જેમાં 80 હજાર જેટલા યુવાનો સેવા આપી રહ્યા છે, યુવાનો ધર્મ સાથે જોડાઇને આધ્યાત્મિકતાથી જીવન જીવવાની પ્રેરણા લે છે, જેટલા પ્રામાણીક રીતે યુવાનોને ધર્મ સમજાવશું એટલા તટસ્થતાથી યુવાનો ધર્મને અપનાવશે.
યુવાનો ધર્મના માર્ગે આગળ વધવા માંગે,એ માટે યોગ્ય વાતાવરણ જરૂરી
સ્વામી વધુમાં ચર્ચા કરતા જણાવે છે કે આધુનિકતાના આ યુગમાં યુવાનોનો એક મોટો વર્ગ છે જે ધર્મને આગળ વધારવા માંગે છે, ને આના માટે તેની પાછળનું ધાર્મિક વાતાવરણ વધારે મહત્વનું છે.યુવાનોની શક્તિ નકામી નથી પણ તમે તેને યોગ્ય કામ આપી નથી શકતા એટલે તમને તે નકામી લાગે છે. સાઉદીમાં બની રહેલા મંદિર વિશેના સવાલના જવાબ આપતા સ્વામીએ જણાવ્યુ કે અબુધાબીના આ મંદિરની અંદર સાત શિખરો છે, સાઉદી કિંગએ ખુબ ઉદારતાથી આ જમીન ભેટમાં આપી છે, પ્રભુખસ્વામી મહારાજનું સ્વપ્ન હવે સાકાર થવા જઇ રહ્યુ છે, અને આમાં દેશના પીએમ નરેન્દ્ર મોદીનો ખુબ સહકાર રહ્યો. મંદિરનું નિર્માણકાર્ય 2024 માં પુર્ણ થઇ જશે. લોકો આ મંદિરને યાત્રાધામ સમજી તેની મુલાકાત લે તેવી સ્વામીએ ઇચ્છા વ્યક્ત કરી હતી.
ભારત પાસે આધ્યાત્મની શક્તિ છે, માટે સ્થિરતા છે
અમદાવાદમાં ત્રણ દિવસીય મહાજાતી ગુજરાતી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં BAPSના બ્રહ્મવિહારી સ્વામીએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે જો આપણે આપણા હીરોને યાદ કરવા માંગતા હોય તો આપણે આપણા ભવિષ્યના હીરો બનવું પડશે. ગુજરાતની ઓળખ માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી. ગુજરાતીને વિશ્વ માનવ ગણાવતા બ્રહ્મવિહારી સ્વામી મંચ પર પ્રવચન આપતા કહ્યું કે ગુજરાતી એ વિશ્વની જાતિ છે. એક ગુજરાતીએ માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ ભારત અને સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ બનાવવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, સરદાર પટેલ અને મહાત્મા ગાંધીએ 75 વર્ષ પહેલા ભારતને આઝાદી અપાવી હતી અને નરેન્દ્ર મોદી અને અમિત શાહની આ જોડી એ જ વિકાસ યાત્રાને આગળ ધપાવી રહી છે. તેમણે કહ્યું કે ભારત એક સ્થિર શક્તિ છે કારણ કે આપણી પાસે આધ્યાત્મિક શક્તિ છે.