ફટાફટ જાણી લો વસંત પંચમીના આ સૌથી શુભ મુહૂર્ત ! રાહુ શાંતિ અર્થે કયો સમય શ્રેષ્ઠ ?
યંત્ર, તંત્ર, મંત્રમાં રસ ધરાવનાર વસંત પંચમીએ (Vasant Panchami) સોના, ચાંદી, કે અન્ય ધાતુની ખરીદી કરી તેનું પૂજન કરે છે. તેને સિદ્ધ કરે છે. તંત્ર શાસ્ત્રના કેટલાક વિદ્વાનો આ દિવસે રાહુ શાંતિ અર્થે સરસ્વતી દેવીની ભક્તિ કરતા હોવાનું જણાવે છે.
લેખકઃ ડો. હેમીલ પી. લાઠીયા, જ્યોતિષાચાર્ય
મહા માસના પ્રથમ નવ દિવસ ગુપ્ત નવરાત્રી તરીકે ઓળખાય છે. આ દિવસો દરમિયાન માતાજીના ભક્તો માર્ગદર્શન મુજબ ભક્તિ કરતાં હોય છે અને તેમાં પંચમી તિથિનું સવિશેષ મહત્વ રહેલું છે. પંચમી તિથિએ આવતો દિવસ એટલે વસંત પંચમી. આ વસંત પંચમી એટલે સરસ્વતી દેવીના પૂજનનો તેમજ શ્રી પૂજન માટેનો દિવસ.
વસંત પંચમી માહાત્મ્ય
લગ્ન માટે વસંત પંચમી એ વણજોયું મુહૂર્ત મનાય છે. લોકો લગ્ન માટે મહા માસનો લગ્નગાળો વધુ પસંદ કરતા હોય છે. આ ઉપરાંત સરસ્વતી દેવીની ભક્તિ લોકો જ્ઞાન મેળવવાના આશયથી વધુ કરતા હોય છે. જેઓ વિદ્યાર્થી છે, અભ્યાસુ છે તેઓના માટે ભક્તિ કરવા માટે આ દિવસ શાસ્ત્રોમાં ઉત્તમ કહ્યો છે. સોનુ, ચાંદી, વાહન વગેરે જેવી વસ્તુની ખરીદી માટે પણ વસંત પંચમી વિશેષ આગ્રહમાં રખાતો દિવસ બની જાય છે.
તંત્ર સાધનામાં વસંત પંચમીનો મહિમા
યંત્ર, તંત્ર, મંત્રમાં રસ ધરાવનાર પણ આ દિવસે કોઈ યંત્ર સોના, ચાંદી, કે અન્ય ધાતુની ખરીદી કરી તેનું પૂજન કરતા હોય છે. તેને સિદ્ધ કરતા હોય છે. તંત્ર શાસ્ત્રના કેટલાક વિદ્વાનો આ દિવસે રાહુ શાંતિ અર્થે સરસ્વતી દેવીની ભક્તિ કરતા હોવાનું જણાવે છે. ઉપરાંત કોઈ વિશિષ્ટ માર્ગદર્શન મુજબ રાહુકાળ દરમિયાન કે રાહુ ચોઘડિયામાં કુંડળીમાં વિપરીત સ્થિતિમાં રાહુ હોય તો તેની શાંતિ માટે પણ પૂજન ભક્તિ કરવાની સલાહ આપતા હોય છે.
વસંત પંચમીના શુભ મુહૂર્ત
આમ તો વસંત પંચમીનો દિવસ વણજોયા મુહૂર્ત તરીકે પ્રસિદ્ધ છે. પણ, છતાં જો શુભ ચોઘડિયામાં કોઈ કાર્ય કરવામાં આવે તો તેમાં સિદ્ધિની પ્રાપ્તિ અનેકગણી વધી જાય છે. ત્યારે, શુભ ચોઘડિયા અનુસાર વસંત પંચમીના શુભ મુહૂર્ત જાણીએ.
શુભ સમય
મહા સુદ પાંચમ, ગુરુવાર, તા. 26 /01 /2023
07:25 થી 08:40
11:25 થી 15:30
17:00 થી 18:20
18:25 થી 21:30
24:55 થી 26:25
રાહુ કાળ
વસંત પંચમીએ 14:15 થી 15:15 કલાક દરમિયાન રાહુ કાળ રહેશે. જેઓને રાહુની મહાદશા ચાલી રહી હોય, ચાંડાલ યોગ હોય કે રાહુ વિપરીત સ્થિતિમાં હોય, તો તેની શાંતિ અર્થે આ સમયમાં પૂજા કરાવવી ફળદાયી બની રહેશે.
(નોંધ- આ લેખમાં લખવામાં આવેલી વિગતો લેખકે પોતાના અધ્યયનના ધોરણે લખી છે, ટીવી 9 સંપૂર્ણપણે તમામ વિગતો સાથે સંમત જ છે તે હોવાને લઈ પુષ્ટી નથી કરતું.)