AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2021 : દૂર્વા અર્પણ કરવા માત્રથી ગજાનન થઈ જાય છે પ્રસન્ન ! જાણો, કેમ વિનાયકને અત્યંત પ્રિય છે દૂર્વા ?

પુરાણોમાં ઉલ્લેખ અનુસાર ગણેશજીને દૂર્વા અત્યંત પ્રિય છે. કહે છે કે જે તેમને આસ્થા સાથે દૂર્વા અર્પણ કરે છે, તેમને સહસ્ત્ર યજ્ઞયાગ, વ્રત-દાન અને તીર્થનું પુણ્ય મળે છે. પણ, પ્રશ્ન તો એ છે કે વિઘ્નહર્તાને દૂર્વા શા માટે આટલી પસંદ છે ?

Ganesh Chaturthi 2021 : દૂર્વા અર્પણ કરવા માત્રથી ગજાનન થઈ જાય છે પ્રસન્ન ! જાણો, કેમ વિનાયકને અત્યંત પ્રિય છે દૂર્વા ?
દૂર્વાથી જ શાંત થઈ સ્વયં ગજાનનના દેહની દાહ !
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 11:17 AM
Share

લેખકઃ પ્રજ્ઞાચક્ષુ ડૉ. કૃણાલ જોષી

એકવાર કૃતવીર્યે બ્રહ્મદેવને પૂછ્યું કે, “હે ભગવાન ! ગણપતિજીને (Ganpati) દૂર્વા (Durva) કેમ પ્રિય છે ?” ત્યારે બ્રહ્માજીએ દૂર્વાનું માહાત્મ્ય સમજાવતી કથા કહી કે, “પૂર્વે દક્ષિણમાં એક જામ્બ નામનું પ્રસિદ્ધ નગર હતું. તેમાં સુલભ નામે સંપન્ન અને વિવેકી ક્ષત્રિય અને તેની સમુદ્ર નામે ગુણિયલ પત્નિ રહેતી હતી. તેઓ બંને સદાચારી અને અતિથિ ધર્મમાં પ્રવૃત્ત રહી જીવન વિતાવતા હતાં.

એક દિવસ એમણે ત્યાં મધુસૂદન નામનો એક દરિદ્ર બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે આવ્યો. એનાં શરીર પરના વસ્ત્રો અત્યંત જીર્ણ હતાં. તેને જોઈને અચાનક સુલભને હસવું આવી ગયું. આ જોઈ પેલા દરિદ્ર બ્રાહ્મણને ક્રોધ આવ્યો અને એ બ્રાહ્મણે સુલભને શ્રાપ આપ્યો કે, “તું ખેતરોમાં જઈ હરાયું ખાનારો આખલો થઈ જા.” આ જાણી સુલભની પત્નિને પણ ક્રોધ આવ્યો અને તેણે દરિદ્ર બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે, “તમે પણ સર્વે પ્રાણીઓમાં મૂર્ખ એવા ગર્દભ બનો.” આ સાંભળી તે દરિદ્ર બ્રાહ્મણે સુલભની પત્નિને શ્રાપ આપ્યો કે, “તું અમંગળ ચાંડાલણી બની જાય.”

આમ આ ત્રણેય જણાએ એક બીજાને શ્રાપ આપ્યા અને બધા ગમે ત્યાં ભટકવા લાગ્યા. એક દિવસ અચાનક ચાંડાલણી ફરતી ફરતી દેવાલયમાં આવી. એ દિવસ ભાદ્રપદ શુક્લ ચતુર્થીનો હતો અને નગરમાં ગણપતિજીનો ભવ્ય ઉત્સવ હતો. વળી એ દિવસે વરસાદ પણ ખુબ પડી રહ્યો હતો. તેથી ચાંડાલણી ખુબ પલળી ગઈ હતી અને તે સમયે પેલો આખલો અને ગર્દભ પણ વરસાદથી ખુબ પલળી ગયા હતાં અને ઠંડીથી ધ્રૂજતા હતાં. ફરતા-ફરતા બધા એક દેવાલયમાં આશરો લેવા આવ્યા પણ લોકોએ તેમને દેવાલયમાં બેસવા દીધા નહીં.

ત્યારબાદ, ચાંડાલણીએ અગ્નિ પેટાવવા ઘાસ ભેગું કર્યું હતું એ આ બંને ખાવા લાગ્યા અને ખાતાં ખાતાં લડવા લાગ્યા. ગર્દભ આખલાને લાતો મારતો અને આખલો ગર્દભને શિંગડાંના પ્રહાર કરતો હતો. એમની લડાઈમાં આ સૂકા ઘાસમાંથી ઊડેલી એક દૂર્વા ગણપતિજીના મસ્તક પર પડી.

આ લડાઈ કરતાં કરતાં ચાંડાલણી, આખલો અને ગર્દભ ત્રણેય જણાં દેવાલયની આજુબાજુ દોડવા લાગ્યા અને આમ અકસ્માતથી જ એ ત્રણે જણાએ દેવાલયની એક પ્રદક્ષિણા પૂરી કરી લીધી. આમ અચાનક અકસ્માતે જ દૂર્વા પ્રાપ્ત થતાં અને પ્રદક્ષિણા પૂર્ણ થતાં ભગવાન ગજાનન પ્રસન્ન થઈ ગયા અને તેમણે આ ત્રણેયને તેમના મૂળ સ્વરૂપ પાછાં આપ્યા.

આ જોઈ આશ્ચર્ય પામી ભગવાન ગણેશના ભક્તોએ ગણેશજીને પૂછ્યું કે આ ત્રણે અમંગળ પ્રાણીઓએ એવું તે શું કર્યું કે તેઓ ગણેશલોક પામ્યા અને પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા અને અમે આટલું તપ અને પૂજાવિધિ કરીએ છીએ છતાં ભગવાન ગણેશ પ્રસન્ન થતાં નથી ?

ભગવાન ગણેશના ભક્તોનો પ્રશ્ન સાંભળી, ભગવાન ગણેશના સેવકો બોલ્યા કે, “આ ત્રણેયે ભગવાન ગજાનનને દૂર્વા અર્પણ કરી છે, એટલે એમને આ ફળ મળ્યું છે. તેમના યથાર્થ પુણ્યનું વર્ણન કરવાની અમારી શક્તિ નથી. પરંતુ એ બાબતમાં ઈન્દ્ર અને દેવર્ષિ નારદ વચ્ચે થયેલો સંવાદ અમે સાંભળ્યો છે એ તમને અમે કહીએ છીએ.”

એક દિવસ દેવર્ષિ નારદ ઈન્દ્રને મળવા સ્વર્ગમાં ગયા. ઈન્દ્રે નારદજીને ગણપતિજીને દૂર્વા અર્પણ કરવાનું માહાત્મ્ય પૂછ્યું. એટલે દેવર્ષિ નારદે એક કથા કહી. એમણે કહ્યું કે પૂર્વે સ્થાવર નામના નગરની સમીપે કૌંડિન્ય નામના ઋષિ રહેતા હતાં. એમના આશ્રમની નજીકમાં એક સુંદર સરોવર હતું. કૌંડિન્ય ઋષિએ આ સ્થાને ભગવાન ગણેશની ચતુર્ભુજ મૂર્તિ પ્રસ્થાપિત કરી અને ત્યાં ઉપાસના પ્રારંભ કરી. તેઓ પુષ્કળ દૂર્વા ગણપતિજીને અર્પણ કરતા હતા. એટલે એમનાં પત્નીએ એમને પૂછ્યું, કે “ભગવાન ગણપતિને દૂર્વા કેમ પ્રિય છે ?” આ પ્રશ્ન સાંભળી કૌંડિન્ય ઋષિએ એને દૂર્વા માહાત્મ્ય કહ્યું.

પૂર્વે યમરાજના નગરમાં એક ભવ્ય ઉત્સવ થયો હતો. એમાં દેવ, ગાંધર્વો વગરે આવ્યા હતાં. આ સમયે ત્રિલોક સુંદરી અપ્સરા તિલોત્તમા નૃત્ય કરતી હતી. એનું સૌંદર્ય અને કામ ચેષ્ટાઓ જોઈ યમરાજ વિહવળ થઈ ગયા અને એમના વીર્યનું સ્ખલન થઈ ગયું. યમરાજના વીર્યમાંથી એ જ સમયે એક ભયંકર રાક્ષસ ઉત્પન્ન થયો. જન્મતા જ એ રક્ષસે ભયંકર નાદ કર્યો તેથી ત્રિભુવન કંપી ઉઠયા. એનાં નેત્રોમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળવા લાગી. સૌ ભયભીત થઈ ગયા અને રક્ષા માટે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા.

ભગવાન વિષ્ણુએ કહ્યું “એનો વધ કરવા ભગવાન ગણેશ જ સમર્થ છે.” ત્યારબાદ સૌ દેવો ભગવાન ગણેશ પાસે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા. ભગવાન ગણેશે સૌ દેવોને કહ્યું “અનલાસુરે તમને ત્રાસ આપ્યો છે એટલે એનો વધ કરવા હું બાળ સ્વરૂપે પ્રગટ થયો છું.” એમ કહી ભગવાન ગણેશ આ અસુર સાથે યુદ્ધ કરવા તૈયાર થયા. એ જ સમયે અનલાસુર દશે દિશાઓ ઉજાડતો, સર્વનું ભક્ષણ કરતો ત્યાં ગણેશજીની સામે આવી પહોંચ્યો અને એ જેવો તેમની સામે ધસ્યો કે તરત ગણેશજીએ પોતાનું વિશાળ મુખ ખોલીને તે અનલાસુરને ગળી ગયા. આ અસુરને ગળી જવાથી એમના પેટમાં દાહ ઉપડયો.

બધા દેવો ગણેશજી પાસે આવ્યા અને ગજાનનનો દાહ શાંત કરવા એમના મસ્તક પર શીતલ અને અમૃતમય ચંદ્ર સ્થાપ્યો અને એમને ‘ભાલચંદ્ર’ એવું નામ આપ્યું. વિષ્ણુજીએ પોતાના હાથમાંનું શીતલ કમળ અર્પણ કર્યું એટલે એમનું નામ ‘પદ્મપાણિ’ પડ્યું. ભગવાન શંકરે એમને સહસ્ત્રફણાઓ વાળો નાગ અર્પણ કર્યો એટલે તેઓ ‘વ્યાલ બદ્ધોદર’ કહેવાયા. તો પણ એમનો દાહ શાંત થયો નહીં.

ત્યારબાદ અઠયાસી સહસ્ત્ર ઋષિઓએ પ્રત્યેકે એકવીસ એમ લીલી દૂર્વા એમના મસ્તક પર અર્પણ કરી ત્યારે ભગવાન ગજાનનનો દાહ શાંત થયો અને તેઓ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, “અનેક ઉપાયોથી મારા શરીરનો દાહ શાંત થયો નહીં પરંતુ દૂર્વાદલથી એ શાંત થયો. એટલે આ દૂર્વાને હું પ્રિય ગણું છું. જે મને દૂર્વા અર્પણ કરશે એને સહસ્ત્ર યજ્ઞયાગ, વ્રત-દાન અને તીર્થનું પુણ્ય મળશે.” આમ કહી ભગવાન ગજાનને અનલાસુરને પ્રશમિત કર્યો એટલે તેઓ ‘કાલાનલ-પ્રશમન’ કહેવાયાં.

સર્વ ગણોએ ભક્તોને કહ્યું, “આ ચાંડાલણીએ જે ઘાસ ભેગું કર્યું એમ રહેલી દૂર્વા એનાં ભાગ્યયોગે અકસ્માતથી ભગવાન ગજાનનના મસ્તક પર પડી અને એટલે જ ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને આ સર્વેનો ઉદ્ધાર થયો.”

ભગવાન ગણેશના ગણોનાં વચન સાંભળી સર્વે ભક્તોએ તરત જ સ્નાન કર્યું અને દૂર્વાથી ભગવાન ગજાનનનું પૂજન કર્યું. દૂર્વાયુક્ત પૂજનથી ભગવાન ગજાનન પ્રસન્ન થયા અને એ સર્વેનો એમણે ઉદ્ધાર કર્યો.

આ પણ વાંચો : અહીં પત્ર લખી ભક્તો ગજાનન સુધી પહોંચાડે છે તેમની મનશા, જાણો ઢાંકના સિદ્ધિવિનાયકનો મહિમા

આ પણ વાંચો : શ્રીગણેશ કેમ કહેવાયા એકદંત ? જાણો ગજાનનના એકદંત બનવાની ચાર રોચક કથા

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">