Kali Chaudas: કાળી ચૌદસે અચૂક કરી લો આ કામ, જીવનની તમામ સમસ્યાઓનું મળી જશે સમાધાન !
કાળી ચૌદસ (kali chaudas) એ ભયભીત કરનારી નહીં, પરંતુ, કલ્યાણની પ્રાપ્તિ કરાવનારી મહા રાત્રી છે. આ રાત્રીએ તમે કેટલાંક વિશેષ ઉપાયો અજમાવીને જીવનની સઘળી મુશ્કેલીઓનું સમાધાન મેળવી શકો છો !

દિવાળીની (Diwali 2022) રાત એ આસો વદી અમાસે આવે છે. પરંતુ, આ અંધારી રાત અજવાશના પર્વ તરીકે જ ઉજવાય છે. અલબત્, વાઘ બારસથી લઈ લાભ પંચમી સુધીના આ શુભ દિવસો દરમિયાન એક કાળી ચૌદસના (kali chaudas) નામથી લોકો ભયભીત થઈ જતા હોય છે. પરંતુ, આ કાળી ચૌદસ એ ભયભીત કરનારી નહીં, પરંતુ, કલ્યાણની પ્રાપ્તિ કરાવનારી મહા રાત્રી છે. કાળી ચૌદસે દેવી કાલી (goddess kali), ભૈરવ દેવતા તેમજ હનુમાન ઉપાસનાની સવિશેષ મહત્તા છે. પરંતુ, અમારે આજે કેટલાંક એવાં ઉપાયોની વાત કરવી છે, કે જેના દ્વારા તમારા જીવનની સઘળી મુશ્કેલીઓનું શમન થઈ જશે. એટલું જ નહીં, મા કાલીની વિશેષ કૃપાની પણ આપને પ્રાપ્તિ થશે.
લવિંગથી નકારાત્મકતાનો નાશ !
કાળી ચૌદસની રાત્રે તમારે દેવી મહાકાળીને લવિંગની જોડ અર્પણ કરવી જોઈએ. રાત્રે દેવી કાલીના પૂજન બાદ તેમને બે લવિંગ જરૂરથી અર્પણ કરો. માન્યતા અનુસાર, દેવીને લવિંગ અર્પણ કરવાથી વ્યક્તિની અંદર રહેલી તમામ નકારાત્મક ઊર્જાનો નાશ થઈ જાય છે.
જાસૂદ હરશે કષ્ટ !
દેવી કાલીને જાસૂદનું પુષ્પ અત્યંત પ્રિય છે. આ ફૂલ ખૂબ જ ચમત્કારિક પણ મનાય છે. એટલે તમારે કાળી ચૌદસે દેવી કાલીને એક જાસૂદનું પુષ્પ જરૂરથી અર્પણ કરવું. જાસૂદનું ફૂલ એ સૌભાગ્યનું પ્રતિક છે. અને દેવીને આ ફૂલ અર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાંથી તમામ કષ્ટ દૂર થઈ જાય છે.
શત્રુઓથી મુક્તિ !
જો કાળી ચૌદસની રાત્રે તમે દેવી કાલીની આરાધના કરી રહ્યા છો, તો દેવીના અહીં જણાવેલ મંત્રનો અચૂકથી જાપ કરો. મંત્ર છે, “ૐ ક્રીં ક્રીં ક્રીં હૂં હૂં હ્રીં હ્રીં દક્ષિણે કાલિકે ક્રીં ક્રીં હૂં હૂં હ્રીં હ્રીં સ્વાહા ।” કાળી ચૌદસની રાત્રીએ આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો. માન્યતા અનુસાર આ મંત્રના જાપથી વ્યક્તિનું મન શાંત થઈ જાય છે. અને વ્યક્તિને શત્રુ સંબંધી સમસ્યાથી પણ મુક્તિ મળી જાય છે.
બે મુખી વાટનો દીવો
કાળી ચૌદસની રાત્રીએ ઘરમાં બેમુખી વાટનો દીવો પ્રજ્વલિત કરવો. આ દીવો સરસવના તેલનો કરવો. કહે છે કે આ બેમુખી વાટના દીવાને લીધે જીવનમાં સુખ અને શાંતિનું આગમન થાય છે. જો ઘરમાં સતત કોઈ બીમાર રહેતું હોય, તો અચૂક આ દીવો પ્રગટાવવો જોઈએ. કારણ કે, આ દીવાના પ્રભાવથી તે વ્યક્તિને પણ રોગમાં રાહતની પ્રાપ્તિ થાય છે.
અનિષ્ટ તત્વોથી રક્ષા !
કાળી ચૌદસની રાત્રે માતા મહાકાળીને કાળી હળદર અર્પણ કરો. ત્યારબાદ આ હળદરને લાલ અથવા તો કાળા વસ્ત્રમાં લપેટી લો. અને પછી તેને તમારા હાથની બંન્ને બાજુ પર બાંધી લો. યાદ રાખો, કે આ હળદર કોઈને પણ દેખાવી ન જોઈએ. માન્યતા અનુસાર, આ ટોટકાથી વ્યક્તિને અનિષ્ટ તત્વોથી રક્ષણ મળે છે.
(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)