Hanuman Jayanti 2022: આ રીતે કરી લો બજરંગ બાણનો જાપ, નહીં અપૂર્ણ રહે એકપણ કામ !
બજરંગ બાણ(bajrang Ban)નો પાઠ કોઇપણ પુસ્તકમાંથી કરી શકાય છે. પરંતુ, પાઠ કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે તે પુસ્તકમાં લખાણ લાલ રંગનું હોય. જો આપને આર્થિક સમસ્યાઓ સતાવતી હોય, લેવડ દેવડના મામલામાં ફસાયેલા હોવ, ત્યારે આ પાઠ ખૂબ લાભદાયી નીવડે છે.
હનુમાન જયંતીનો અવસર એટલે હનુમાન કૃપા પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ અવસર. આ દિવસ હનુમાનજીને સમર્પિત છે. તો સાથે જ આ વખતે શનિવાર અને હનુમાન જયંતીનો શુભ સંયોગ પણ છે. આ સંયોગ હનુમાનજીને પ્રસન્ન કરવા માટે અતિ શુભ માનવામાં આવે છે. હનુમાનજીના જન્મદિવસ (hanuman jayanti) પર કરવામાં આવતા ઉપાય જીવનમાં વિશેષ ફળ પ્રદાન કરનારા મનાય છે. ત્યારે આવો જાણીએ કે શાબર મંત્રની મદદથી આપ કેવી રીતે હનુમંત કૃપાને પ્રાપ્ત કરી શકશો ? તેમજ બજરંગ બાણ (bajrang Ban) કેવી રીતે તમારી બધી જ સમસ્યાઓનું શમન કરી દેશે ?
શાબર મંત્ર શું છે ?
હનુમાન જયંતી એટલે કે હનુમાન જન્મોત્સવના દિવસે શાબર મંત્રનો પાઠ કરવો ઉત્તમ માનવામાં આવે છે. આ મંત્રને સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. એ સૌથી સરળ અને સૌથી સુરક્ષિત હોવાના કારણે લોકપ્રિય છે. આ મંત્રોની વૈદિક મંત્રોની જેમ લાંબી સાધના કરવાની જરૂર નથી હોતી અને ન તો તે તાંત્રિક મંત્રોની જેમ જટિલ હોય છે. શાબર મંત્રની વિશેષ વાત એ છે કે તે જે પણ ઇષ્ટ માટે કરવામાં આવે છે, તે ઇષ્ટના આશીર્વાદ ઝડપથી પ્રાપ્ત કરાવે છે. એટલે કે વ્યક્તિની મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે.
પ્રભાવશાળી બજરંગ બાણ
બજરંગ બાણ મંત્ર પણ શાબર મંત્રની શ્રેણીમાં આવે છે. તેને બહુ પ્રભાવશાળી માનવામાં આવે છે. એટલા માટે તેના નામ પાછળ ચાલીસા અને કવચ નહીં પણ બાણ લખાયું છે. કારણ કે બાણનો અર્થ છે કે નિર્ધારિત લક્ષ્ય પ્રાપ્ત કરવું. બધા જ પ્રયાસો જ્યારે નિષ્ફળ નીવડે ત્યારે આના જાપ કરવામાં આવે છે. એક માન્યતા એવી પણ છે કે તેનો પ્રયોગ ત્યારે જ કરવો જ્યારે કોઇ મોટી વિપત્તિ આવી હોય. ત્યારે તે મુશ્કેલીમાંથી બહાર લાવી શુભ ફળ પ્રદાન કરે છે.
કોણ કરી શકે બજરંગ બાણનો પાઠ ?
⦁ બજરંગ બાણનો પાઠ વિશેષ પરિસ્થિતિઓમાં જ કરવો જોઇએ. આનો પાઠ કરવા માટે કેટલીક વિશેષ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે.
⦁ જો તમે શત્રુઓથી ઘેરાયેલા હોવ અને દુશ્મન નિરંતર પરેશાની અને અવરોધો ઉભા કરી રહ્યો હોય ત્યારે આ મંત્રનો પાઠ કરી શકો છો.
⦁ જો કોઇ અસાધ્ય રોગથી પીડિત હોય કે જે લોકોને કોઇ દવાની અસર ન થઇ રહી હોય તો તેવા લોકોએ બજરંગ બાણનો વિશેષ રૂપે પાઠ કરવો જોઇએ.
⦁ જો આપને આર્થિક સમસ્યાઓ સતાવતી હોય, લેવડ દેવડના મામલામાં ફસાયેલા હોવ, ત્યારે આ પાઠ ખૂબ લાભદાયી નીવડે છે.
⦁ વિદ્યાર્થીઓ કે નોકરીની શોધ કરી રહેલા લોકોએ આનો પાઠ કરવો જોઇએ. તેમને જલ્દી જ તેનું ફળ પ્રદાન થાય છે.
⦁ જે લોકોને વિવાહિત જીવન સુખમય ન ચાલી રહ્યું હોય કે જે અવિવાહિત લોકો છે તેમને લગ્નમાં અડચણો આવતી હોય તો આવી સ્થિતિમાં બજરંગ બાણનો પાઠ ખૂબ સારું ફળ પ્રદાન કરે છે.
ક્યારે અને કેવી રીતે કરશો પઠન ?
બજરંગ બાણનો પાઠ કોઇપણ પુસ્તકમાંથી કરી શકાય છે. પરંતુ, પાઠ કરતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે તે પુસ્તકમાં લખાણ લાલ રંગનું હોય. બજરંગબાણના પાઠની શરૂઆત સવારે કે સાંજે કોઇપણ સમયે કરી શકાય છે. મંગળવાર, શનિવાર કે હનુમાન જયંતીએ તેના પઠનનો પ્રારંભ કરવો ઉત્તમ મનાય છે. પણ, જો તમારી પાસે રાહ જોવાનો સમય ન હોય તો આવનાર કોઇપણ દિવસથી તેની શરૂઆત કરી શકો છો. અહીં એક ખાસ વાત ધ્યાનમાં રાખવી કે જે સમયે તેનો પાઠ શરૂ કરવામાં આવે ત્યારથી લઈ સતત 40 દિવસ સુધી પાઠ કરવો અતિ ઉત્તમ ગણાશે !
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચો : અહીંથી જ થયો હતો શિવલિંગ પૂજાનો પ્રારંભ ! જાણો મહાદેવના હાટકેશ્વર સ્વરૂપનો મહિમા
આ પણ વાંચો : માત્ર એક મંત્ર અપાવશે દેવામાંથી મુક્તિ ! અત્યારે જ જાણી લો દરેક કામનાને સિદ્ધ કરતાં સિદ્ધકુંજિકા સ્તોત્રનો મહિમા