Chaturmas 2021 : આજથી ચાર મહિના સુધી કોઈ શુભ કાર્ય નહીં થાય, જાણો ચાતુર્માસનું મહત્વ અને તેના સંબંધિત મહત્વપૂર્ણ માહિતી
દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ વિશ્રામ માટે પાતાળ લોકમાં જાય છે. ચાર મહિના બાદ દેવઉઠી એકાદશી પર તેઓ જાગે છે. સમયના આ અંતરાલને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે.
અષાઢના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી (Devshayani Ekadashi) તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ (Lord Vishnu) વિશ્રામ માટે પાતાળ લોકમાં જાય છે. ચાર મહિના બાદ દેવઉઠી એકાદશી પર તેઓ જાગે છે. સમયના આ અંતરાલને ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. આ દરમિયાન, લગ્ન, સગાઈ, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે તમામ શુભ કાર્યો થતા નથી.
આ વખતે દેવશયની એકાદશી 20 જુલાઈ એ છે. તેથી, ચાતુર્માસ આજથી શરૂ થશે. ત્યારબાદ 14 નવેમ્બરના રોજ દેવઉઠી એકાદશી સાથે, બધા શુભ કાર્ય ફરી શરૂ થશે. આરોગ્યની દ્રષ્ટિએ ચાતુર્માસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી, સારી તંદુરસ્તી જાળવવા માટે, આ ચાર મહિના દરમ્યાન વિવિધ પ્રકારના વ્રત, ઉપવાસ, પૂજા અને ધાર્મિક વિધિઓ વગેરે કરવાના નિયમોની સાથે શાસ્ત્રોમાં ખાવાના કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે.
ચાતુર્માસ ભગવાનની ઉપાસનાનો તહેવાર છે
જ્યોતિષ આચાર્ય ડો. અરવિંદ મિશ્રાના જણાવ્યા મુજબ, ચાતુર્માસ એ ઇશ વંદનાનો વિશેષ તહેવાર છે. આ ચાર મહિનામાં ઘણા પ્રકારના ઉપવાસ અને તહેવારો હોય છે. શાસ્ત્રોમાં ચાતુર્માસ દરમિયાન ઉપવાસનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે, તેમજ આ સમય દરમિયાન અનેક પ્રકારની સિદ્ધિઓને પૂજાથી પ્રાપ્ત કરવાનું પણ કહેવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુની ચાતુર્માસમાં વિશેષ પૂજા કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન પુરૂષ સૂક્ત, વિષ્ણુ સહસ્ત્રનામ અથવા ભગવાન વિષ્ણુના વિશેષ મંત્રો દ્વારા તેમની પૂજા કરવી જોઈએ.
ચાતુર્માસમાં આ વસ્તુઓ ન ખાવી જોઈએ
શાસ્ત્રો મુજબ ચાતુર્માસ દરમિયાન કેટલીક ચીજોનો ત્યાગ કરવાનું કહેવામાં આવ્યું છે. આ નિયમો સારા આરોગ્ય માટે છે, કારણ કે આ સમય દરમિયાન વરસાદને લીધે શાકભાજી જેવી વસ્તુઓમાં જંતુઓ ઉત્પન્ન થાય છે, તેમજ વ્યક્તિની પાચક શક્તિ નબળી પડી જાય છે. આ સ્થિતિમાં તેને પચાવવામાં સમસ્યા થાય છે.
ચાતુર્માસના શ્રાવણ માસમાં શાકભાજી, ભાદરવા મહિનામાં દહીં, આસો મહિનામાં દૂધ અને કાર્તિક મહિનામાં કઠોળ ન લેવાનું કહેવામાં આવ્યું છે. આ સિવાય લોકોને માંસ, મધ, ગોળ, તેલ, રીંગણા, મીઠું, ઘી વગેરે છોડવાનું પણ કહેવામાં આવ્યું છે.
આ વસ્તુઓનો ત્યાગ કરવાનું ધાર્મિક મહત્વ
એવું માનવામાં આવે છે કે જે લોકો ચાતુર્માસ દરમિયાન ગોળ છોડે છે તેને મધુર સ્વર પ્રાપ્ત થાય છે. તેલનો ત્યાગ કરવાથી પુત્ર અને પૌત્ર પ્રાપ્ત થાય છે. સરસવના તેલનો ત્યાગ કરવાથી દુશ્મનોનો નાશ થાય છે. ઘીનો ત્યાગ કરવાથી સુંદરતા પ્રાપ્ત થાય છે. દહીં અને દૂધના ત્યાગથી વંશમાં વધારો થાય છે. ઇચ્છિત કાર્ય મીઠાના ત્યાગ દ્વારા પૂર્ણ થાય છે.