દશેરાના (Dussehra) ઉત્સવનું એક આગવું જ મહત્વ છે. આસો માસની શુક્લ પક્ષની દસમી તિથિએ ઉજવાતો આ અવસર એ હિંદુ સંસ્કૃતિના મુખ્ય તહેવારોમાંથી એક છે. આ વર્ષે આ ઉત્સવ 15 ઓક્ટોબર 2021, શુક્રવારના રોજ ઉજવાશે. સૌથી મહત્વની વાત તો એ છે કે આ વર્ષે દશેરાના અવસર પર અનેક શુભ યોગ સર્જાઈ રહ્યા છે. જે વિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારા મનાય છે.
પ્રચલિત કથા અનુસાર દશેરાના દિવસે જ આદ્યશક્તિ જગદંબાએ અસુર મહિષનો વધ કર્યો હતો. મહિષાસુરનો વધ કરી દેવી મહિષાસુરમર્દિની બન્યા. તો, ભગવાન શ્રીરામે રાવણનો વધ પણ આ દસમી તિથિએ જ કર્યો હોવાની કથા પ્રચલિત છે. અને એટલે જ આ ઉત્સવ વિજયા દશમી (vijaya dashami) તરીકે પણ પ્રસિદ્ધ છે. આ દિવસે લોકો આદ્યશક્તિની અને શક્તિના પ્રતિક એવાં શસ્ત્રોની પૂજા કરતા હોય છે. ત્યારે આવો જાણીએ કે આ વર્ષે કયા શુભ મુહૂર્તમાં કરશો પૂજા.
પૂજાના શુભ મુહૂર્ત સવારે 6:40 થી 10:55 બપોરે 12:35 થી 01:45 સાંજે 05:00 થી 06:02
પૂજાનું વિજય મુહૂર્ત બપોરે 02:02 થી 02:48
ત્રણ યોગ સાથે દશેરા આ વખતે દશેરાના પર્વ પર રવિ યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને કુમાર યોગનું સાયુજ્ય સર્જાયું છે. માન્યતા અનુસાર શુભ યોગનું આ સાયુજ્ય સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવશે. આ દિવસે લોકો અસ્ત્ર-શસ્ત્રની પૂજા કરે છે. તો, ઘણાં ભક્તો માતા દુર્ગા અને શ્રીરામજીની પ્રતિમાની સ્થાપના કરી તેમની પૂજા કરે છે. તો આ દિવસ ગ્રહદોષથી મુક્તિની પ્રાપ્તિ કરાવનારો પણ મનાય છે. ત્યારે આવો જાણીએ આ દિવસની વિશેષ પૂજા.
પૂજાની વિધિ ⦁ દશેરાના દિવસે સવારે વહેલા ઉઠી નિત્યકર્મથી પરવારી પૂજાનો સંકલ્પ કરો ⦁ એક બાજોઠ પર લાલ વસ્ત્ર પાથરી તેના પર શ્રીરામ અને મા દુર્ગાની પ્રતિમાની સ્થાપના કરો ⦁ બાજોઠ પર હળદર મિશ્રિત ચોખાથી સાથિયો બનાવો ⦁ સર્વ પ્રથમ ગજાનન ગણેશજીનું આવાહન કરો ⦁ નવગ્રહોની સ્થાપના કરી ઈષ્ટદેવનું સ્મરણ કરો ⦁ પૂજામાં લાલ રંગના પુષ્પ અર્પણ કરવા ⦁ ગોળમાંથી બનેલી વાનગી નૈવેદ્ય રૂપે ધરાવવી ⦁ આ દિવસે બ્રાહ્મણોને દાન-દક્ષિણા દેવી ⦁ જરૂરિયાતમંદોને ભોજન કરાવવું ⦁ આ દિવસે ઘરના મંદિર પર ધર્મધજા લહેરાવી શકાય
વાસ્તવમાં વિજયા દશમીનો તહેવાર ભક્તોને એ વાતનો નિર્દેશ કરે છે કે તેમણે પણ અનિષ્ટ વિરુદ્ધ લડવા તૈયાર રહેવું જોઈએ. માતા દુર્ગાની કૃપાને પ્રાપ્ત કરવાનો આ સર્વોત્તમ અવસર છે. એમાં પણ શુભ મુહૂર્તમાં થયેલી પૂજા ભક્તોને વિશેષ લાભની પ્રાપ્તિ કરાવનારી બની રહેશે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)
આ પણ વાંચોઃ ભગવતી જગદંબાની કૃપાથી જ ત્રિદેવો સંભાળે છે સૃષ્ટિના સર્જન, સંચાલન અને સંહારની જવાબદારી !
આ પણ વાંચોઃ કયા અનુષ્ઠાનને લીધે સ્વયં શ્રીકૃષ્ણ પર લાગેલું કલંક થયું દૂર ? જાણો, નવાર્ણ મંત્રની મહત્તા