ઠાકોરજીને ધરાવાય છે 56 ભોગ, વાનગીઓની આ 56 સંખ્યાનું શું છે રહસ્ય ?
દિવસમાં 8 વખત ભોજન કરનાર કૃષ્ણ (lord krishna) સળંગ 7 દિવસ સુધી ભુખ્યા રહેતા વ્રજવાસીઓ અને મૈયા યશોદાને ખુબ દુઃખ થયું હતું. આખરે, પ્રભુ પ્રત્યેની પોતાની અનન્ય શ્રદ્ધા દેખાડતા તમામ વ્રજવાસીઓ સહિત યશોદા માતાએ 56 વ્યંજનો (56 bhog) બનાવ્યા.
દ્વારકામાં બિરાજતા દ્વારિકાધીશ (dwarkadhish) હોય કે ડાકોરમાં બિરાજતા રણછોડરાયજી (ranchhodraiji) હોય, ઠાકોરજીના આ દિવ્ય સ્વરૂપોને 56 ભોગ (56 bhog) અર્પણ કરવાની પ્રણાલી છે. એટલું જ નહીં, વિશેષ ઉત્સવો પર તો ભક્તો ઘરમાં પણ તેમના બાળગોપાલ શ્રીકૃષ્ણ (lord krishna) આગળ 56 ભોગ અર્પણ કરી દેતાં હોય છે. ત્યારે ઘણાં વૈષ્ણવોને એ કુતૂહલ થતું હોય છે કે શ્રીઠાકોરજીને ૫૬ ભોગ શા માટે ધરાવવામાં આવે છે ? આખરે, 56 પ્રસાદનું રહસ્ય શું છે ? આવો, આજે તે જ વિશે વિગતે જાણવાનો પ્રયત્ન કરીએ. એક માન્યતા અનુસાર આ 56 ભોગ સાથે તો પ્રભુની ગોવર્ધન ધારણ લીલા જોડાયેલી છે.
ગોવર્ધન ધારણ લીલા
શ્રીકૃષ્ણએ સતત 7 દિવસ સુધી ગોવર્ધન પર્વતને તેમની ટચલી આંગણીએ ધારણ કરી રાખ્યો હોવાની કથા સર્વવિદિત છે. અને વાસ્તવમાં પ્રભુને અર્પણ થતાં 56 ભોગની પ્રણાલી પણ આ કથા સાથે જ જોડાયેલી છે. આ કથા અનુસાર માતા યશોદા બાળકૃષ્ણને એક દિવસમાં આઠ વખત ભોજન કરાવતા હતા. પણ એકવાર વ્રજ પર ઈન્દ્રનો પ્રકોપ ઉતર્યો. અને અનરાધાર વરસાદ વરસ્યો. આ વરસાદથી વ્રજવાસીઓની રક્ષા કરવા ભગવાન શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉઠાવી લીધો હતો. માત્ર સાત વર્ષનો કાનુડો સતત 7 દિવસ સુધી ગોવર્ધનને ધારણ કરીને ઉભો રહ્યો. એ પણ, અન્નજળ ગ્રહણ કર્યા વિના !
પ્રભુની લીલા સામે હારીને આખરે ઈન્દ્રને પોતાની ભૂલ સમજાઈ. તેણે પ્રભુની ક્ષમા માંગીને આઠમાં દિવસે વરસાદને રોકી લીધો. શ્રીકૃષ્ણએ પણ તમામ વ્રજવાસીઓને ગોવર્ધન પર્વત નીચેથી નીકળી જવાનું કહ્યું. પરંતુ, દિવસમાં 8 વખત ભોજન કરનાર કૃષ્ણ સળંગ 7 દિવસ સુધી ભુખ્યા રહેતા વ્રજવાસીઓ અને મૈયા યશોદાને ખુબ દુઃખ થયું હતું. આખરે, પ્રભુ પ્રત્યેની પોતાની અનન્ય શ્રદ્ધા દેખાડતા તમામ વ્રજવાસીઓ સહિત યશોદા માતાએ 7 દિવસ અને આઠ પ્રહરના હિસાબથી (7×8=56) છપ્પન વ્યંજનો બનાવ્યા. અને તે 56 ભોગ બાલગોપાલને ભાવથી ખવડાવ્યા. માન્યતા અનુસાર તે સમયથી જ ઠાકોરજીને 56 ભોગ અર્પણ કરવાની પ્રણાલીનો પ્રારંભ થયો છે.
અન્ય માન્યતા
ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખ અનુસાર પ્રાણીઓની 84 લાખ યોનિઓ જાણવામાં આવે છે. જેમાં શ્રેષ્ઠ યોનિ એ મનુષ્ય યોનિ છે. જો મનુષ્ય યોનિને અલગ કરી દેવામાં આવે તો 83,99,999 સંખ્યા થાય છે. આ બધી યોનિઓ પશુ-પક્ષીની છે. તેમને જોડવાનો યોગ 56 હોય છે. મનુષ્ય જન્મને છોડીને બાકીનાં જન્મોથી મુક્તિ મેળવવા માટે જ આપણે 56 ભોગનો પ્રસાદ ભગવાનને ધરાવીએ છીએ. જેનો અર્થ એવો થાય છે કે આપણે આપણાં અન્ય 83,99,999 જન્મ ભગવાન શ્રીકૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધા છે.
(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)