Navratri 2022 : બીજા નોરતે વિજયના આશિષ પ્રદાન કરશે માતા બ્રહ્મચારિણી, જાણો કયા મંત્રથી પ્રાપ્ત થશે દેવીની કૃપા ?
દેવી બ્રહ્મચારિણીના (Brahmacharini)પૂજનથી સાધકના તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે. મા બ્રહ્મચારિણીની કૃપાથી મનુષ્ય સર્વત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ કરે છે !
નવરાત્રિનો (Navratri 2022) બીજો દિવસ માતા બ્રહ્મચારિણીને (goddess brahmacharini) સમર્પિત હોય છે. બ્રહ્મનો (Brahma)અર્થ છે તપસ્યા અને ચારિણી એટલે કે આચરણ કરનારી. જે અનુસાર બ્રહ્મચારિણીનો અર્થ થાય છે તપનું આચરણ કરનારી. બ્રહ્મચારિણી દેવી શાંત અને મગ્ન થઈને તપ કરનારા દેવી છે. તેમના મુખ ઉપર કઠોર તપસ્યાના કારણે અદભુત તેજ તથા કાંતિના દર્શન થાય છે. આ તેજ ત્રણેય લોકમાં વ્યાપેલું છે. દેવી બ્રહ્મચારિણીના એક હાથમાં માળા છે તથા એક હાથમાં કમંડળ છે. દેવી સાક્ષાત બ્રહ્મનું સ્વરૂપ છે. અને તપસ્યાનું મૂર્તિમાન સ્વરૂપ છે.
બીજું નોરતું
આસો સુદ બીજ, તા-27 સપ્ટેમ્બર, મંગળવારના રોજ બીજું નોરતું છે. આ દિવસે આદ્યશક્તિના બ્રહ્મચારિણી સ્વરૂપનું સ્મરણ કરી તેમની પૂજાનો સંકલ્પ લેવો.
બ્રહ્મચારિણી મહિમા
દધાના કરપદ્માભ્યામક્ષમાલાકમણ્ડલૂ ।
દેવી પ્રસીદતુ મયિ બ્રહ્મચારિણ્યનુત્તમા ।।
બ્રહ્મચારિણી દેવીના ઘણા નામ છે. જેમ કે તપશ્ચારિણી, અપર્ણા અને ઉમા. મા ભગવતીએ શૈલરાજ હિમાવાનને ત્યાં જન્મ લીધો. જેને લીધે તે શૈલપુત્રીના નામે પ્રસિદ્ધ થયા. ત્યારબાદ મહાદેવને પતિ રૂપે પ્રાપ્ત કરવા, નારદજીના ઉપદેશ મુજબ દેવીએ ઘોર તપસ્યાનો પ્રારંભ કર્યો. ઉનાળાની અતિશય ગરમીમાં માતા પાર્વતી દિવસ-રાત અગ્નિની વચ્ચે બેસીને મંત્રજાપ કરતા. વર્ષાઋતુમાં તે પત્થરની શિલા પર જ આસન લગાવીને નિરંતર જલધારાથી ભીનાં થતાં રહેતા. શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઉભા રહેતા. અથવા બરફની શિલા પર બેસીને મંત્રજાપ કરતા. દેવીએ પૂરાં 3 હજાર વર્ષ સુધી આવું આકરું તપ કર્યું. અને તેને લીધે જ તે બ્રહ્માચરિણી, તપશ્ચારિણી જેવાં નામે પ્રસિદ્ધ થયા.
બ્રહ્મચારિણી પૂજન વિધિ
⦁ માતા બ્રહ્મચારિણીને પૂજન સમયે સેવંતી કે સફેદ રંગના પુષ્પ અર્પણ કરવા જોઈએ.
⦁ નૈવેદ્યમાં દેવીને સાકર અચૂકથી અર્પણ કરવી. કારણ કે દેવીને મીસરી અત્યંત પ્રિય છે. સાથે જ સફેદ મીઠાઈ ધરાવી શકાય.
⦁ ફળ પ્રસાદ રૂપે માતા બ્રહ્મચારિણીને સફરજન ધરાવવું
⦁ વિશેષ કૃપા અર્થે સાધકે આજે લાલ રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. લાલ રંગથી સાધકમાં શક્તિનો અને ઉત્સાહનો સંચાર થાય છે.
ફળદાયી મંત્ર
ૐ એં હ્રીં ક્લીં બ્રહ્મચારિણ્યૈ નમઃ ।
ફળપ્રાપ્તિ
કહે છે કે દેવી બ્રહ્મચારિણીના પૂજનથી સાધકના તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમમાં વૃદ્ધિ થાય છે. મા બ્રહ્મચારિણીની કૃપાથી મનુષ્ય સર્વત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ કરે છે. તથા તેના જીવનની અનેક સમસ્યા તથા પરેશાનીઓનો નાશ થઈ જાય છે. તો, આજના પૂજનથી સાધકનો મંગળદોષ શાંત થઈ જવાની માન્યતા પ્રચલિત છે !
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)