Navratri 2022: પ્રથમ નોરતે પ્રાપ્ત કરો મા શૈલપુત્રીની કૃપા, જાણો દેવીને પ્રસાદમાં શું છે સૌથી વધુ પ્રિય ?
કહે છે કે જે મનુષ્ય નવરાત્રી (Navratri 2022) દરમિયાન આસ્થા સાથે મા શૈલપુત્રીનું પૂજન કરી મંત્રનું અનુષ્ઠાન કરે છે, તેના ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. દેવી ભક્તોની સંતાન પ્રાપ્તિની મનશા પણ પરિપૂર્ણ કરે છે.
નવરાત્રી (Navratri 2022) એટલે તો મા આદ્યશક્તિની આરાધનાનો અવસર. માતા નવદુર્ગાના (Navdurga) નવ સ્વરૂપોની ઉપાસના કરી તેમની કૃપાને પ્રાપ્ત કરવાનો અવસર. ત્યારે આવો જાણીએ કે નવરાત્રીના પ્રથમ નોરતે દેવીના શૈલપુત્રી (shailputri) સ્વરૂપના પૂજનની શું છે મહત્તા ? અને કયા મંત્ર, પુષ્પ અને પ્રસાદથી પ્રસન્ન થશે માતા ?
પ્રથમ નોરતું
આસો સુદ એકમ, તા-26 સપ્ટેમ્બર, સોમવારના રોજ પહેલું નોરતું છે. આ દિવસે શુભ મુહૂર્તમાં ઘટસ્થાપન કરવું. અને ત્યારબાદ આદ્યશક્તિના શૈલપુત્રી સ્વરૂપનું સ્મરણ કરી તેમની પૂજાનો સંકલ્પ લેવો.
શૈલપુત્રી મહિમા
વંદે વાંચ્છિતલાભાય ચંદ્રાર્ધકૃતશેખરામ્ ।
વૃષારુઢાં શૂલધરાં શૈલપુત્રી યશસ્વિનીમ્ ।।
આદ્યશક્તિના નવદુર્ગા સ્વરૂપોમાં સર્વ પ્રથમ પૂજા શૈલપુત્રીની થાય છે. શૈલપુત્રી એટલે જ શૈલરાજ હિમાલયની પુત્રી, દેવી પાર્વતી. દેવી શૈલપુત્રી વૃષભ પર આરુઢ હોઈ તે વૃષભરુઢા કે વૃષભવાહિનીના નામે પણ ઓળખાય છે. તો, ભક્તો તેમને હેમવતી, માહેશ્વરી અને ઈશ્વરી જેવા નામે પણ સંબોધે છે. દેવીએ જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ ધારણ કરેલા છે.
અહંકારવશ પ્રજાપતિ દક્ષે મહાયજ્ઞનું આયોજન કર્યું. તેમાં પધારવા તેમણે સમસ્ત દેવી-દેવતાઓને આમંત્રણ આપ્યું. પણ, પોતાની જ પુત્રી સતી અને મહાદેવને નિમંત્રણ ન મોકલ્યું. મહાદેવની ના છતાં સતી પિતાના યજ્ઞમાં ભાગ લેવાં પધાર્યા. પણ, ત્યાં પ્રજાપતિ દક્ષે સૌની સામે દેવાધિદેવ પ્રત્યે તિરસ્કાર ભરેલાં શબ્દો કહ્યા. પતિના અપમાનથી ક્રોધે ભરાઈ સતીએ યોગાગ્નિથી તેમનો દેહત્યાગ કરી દીધો. ત્યારબાદ દેવી સતીએ શૈલરાજ એટલે કે પર્વતરાજ હિમાલયના ત્યાં જન્મ લીધો. અને તે શૈલપુત્રીના નામે પ્રસિદ્ધ થયા.
શૈલપુત્રી પૂજન વિધિ
⦁ દેવી શૈલપુત્રીના પૂજન સમયે તેમને સફેદ કરેણ કે જાસૂદનું પુષ્પ અર્પણ કરવું જોઈએ.
⦁ નૈવેદ્યમાં દેવીને ઘી અત્યંત પ્રિય છે. એટલે કે તેમને ગાયના ઘીનો ભોગ લગાવવો જોઈએ. અથવા તો ગાયના ઘીમાંથી બનેલી મીઠાઈ પણ ધરાવી શકાય.
⦁ ફળ પ્રસાદ રૂપે માતાને દાડમ અત્યંત પ્રિય મનાય છે.
⦁ મા શૈલપુત્રીની વિશેષ કૃપાને પ્રાપ્ત કરવા પ્રથમ નોરતે સાધકે સફેદ રંગના વસ્ત્ર ધારણ કરવા જોઈએ. કારણ કે શ્વેત રંગ સાધકને આત્મશાંતિની અનુભૂતિ કરાવશે. અને તેનું મન માતાની સાધનામાં એકરૂપ થશે.
ફળદાયી મંત્ર
।। ૐ એં હ્રીં ક્લીં શૈલપુત્ર્યૈ નમઃ ।।
મા શૈલપુત્રીની કૃપાને પ્રાપ્ત કરવા સાધકે આ મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવો જોઈએ.
ફળપ્રાપ્તિ
કહે છે કે જે મનુષ્ય નવરાત્રી દરમિયાન આસ્થા સાથે મા શૈલપુત્રીનું પૂજન કરી મંત્રનું અનુષ્ઠાન કરે છે, તેના ઘરમાં ધન, ધાન્ય અને સમૃદ્ધિની વૃદ્ધિ થાય છે. દેવી ભક્તોની સંતાન પ્રાપ્તિની મનશા પણ પરિપૂર્ણ કરે છે. સાથે જ મલિન તત્વોથી રક્ષા પણ કરે છે. માન્યતા અનુસાર ‘ચંદ્રદોષ’થી પીડિત વ્યક્તિને પણ મા શૈલપુત્રીની ઉપાસનાથી રાહત મળે છે.
(અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, આના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યા છે.)