દેશના સૌથી ધનિક બેંકર ઉદય કોટકે ખુરશી છોડવી પડી શકે છે, જાણો શું છે કારણ
આગામી ટર્મમાં બેંકના ફાઉન્ડર CEO ઉદય કોટકએ પદ છોડવું પડી શકે છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(Reserve Bank of India)ના નવા નિયમો અનુસાર કોઈ પણ વ્યક્તિ 15 વર્ષથી વધુ સમય સુધી કોઈ બેંકનો CEO પદ ઉપર રહી શકશે નહીં. કોટક મહિન્દ્રા બેંક(Kotak Mahindra Bank) માટે આ નિયમ એક આંચકો સાબિત શકે છે કારણ કે આગામી ટર્મમાં બેંકના ફાઉન્ડર CEO ઉદય કોટકએ પદ છોડવું પડી શકે છે. કેન્દ્રીય બેંકે તેના તાજેતરના કોર્પોરેટ ગવર્નન્સ નિયમોમાં એમ પણ જણાવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ 75 વર્ષની વય પછી બિન-કાર્યકારી નિયામક રહી શકશે નહીં. જોકે આ નિયમ સરકારી અને વિદેશી બેંકો માટે લાગુ થશે નહીં.
RBI જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ 15 વર્ષથી વધુ સમય સુધી MD અને CEO અથવા લાઈફટાઈમ ડિરેક્ટર રહી શકશે નહીં. સેન્ટ્રલ બેંક અનુસાર વ્યક્તિને તે જ બેંકમાં ત્રણ વર્ષના ઓછામાં ઓછા અંતર પછી ફરીથી નિમણૂક મેળવવા માટે પાત્ર ગણવામાં આવશે. બોર્ડને તેને જરૂરી માને અને અન્ય શરતો પૂરી કરે તો જ તે શક્ય બનશે.
નવા નિયમો શું છે આરબીઆઈએ પ્રમોટર શેરહોલ્ડર બેન્ક ચીફ્સની મુદત પણ 12 વર્ષ માટે નક્કી કરી છે. સેન્ટ્રલ બેંકના વિવેક પર આને 3 વર્ષ સુધી લંબાવી શકાય છે. કોટક મહિન્દ્રા બેંકના સ્થાપક એમડી ઉદય કોટકને આરબીઆઈ દ્વારા 3 વર્ષ માટે ફરીથી નિમવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ જાન્યુઆરી 2021 થી શરૂ થયો છે. તે 17 વર્ષથી કોટક મહિન્દ્રા બેંકના એમડી છે. નવા નિયમ મુજબ તે ફરીથી નિમણૂક માટે પાત્ર નથી.
આરબીઆઈએ સ્પષ્ટ પણ કર્યું છે કે ખાનગી ક્ષેત્રની બેંકોના વડાઓની ઉંમર 70 વર્ષથી વધુ ન હોવી જોઈએ. જો કે સેન્ટ્રલ બેંકે એમ પણ કહ્યું છે કે બેંક બોર્ડ આવા લોકોની નિવૃત્તિની ઓછી વય નક્કી કરવા માટે સ્વતંત્ર છે. નવા નિયમો અનુસાર નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની અપર એજ 75 વર્ષથી વધુ હોઈ શકતી નથી. તેમાં બેંકના અધ્યક્ષ પણ શામેલ છે. સેન્ટ્રલ બેંકના જણાવ્યા મુજબ કોઈપણ નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર 8 વર્ષથી વધુ સમય સુધી બોર્ડમાં રહી શકશે નહીં.