Weather Update : ગુજરાત પર 72 કલાક ‘આકાશી સંકટ’ ! વાદળો ગરજશે, ત્રણ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં કમોસમી વરસાદની જે શકયતાઓ ઉભી થઇ રહી છે. તેની વાત કરીયે તો માર્ચના અંતિમ દિવસો અને એપ્રિલની શરૂઆતમાં ગુજરાત પર માવઠું ત્રાટકી શકે છે. હાલ હવામાન વિભાગે સત્તાવાર રીતે કોઇ જાહેરાત કરી નથી. જો કે જેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. તેને જોતા શકયતાઓ છે કે માર્ચ અંતમાં માવઠું કહેર મચાવી શકે છે.

ગુજરાતમાં એક તરફ ગરમીનો પારો ઉંચે જવા માટે તૈયાર છે. બીજી તરફ કમોસમી વરસાદની પણ આગાહી થઇ રહી છે. વાતાવરણના ભેદભરમથી લોકો ચિંતામાં મુકાયા છે. માર્ચના અંતમાં માવઠું ગુજરાતમાં ત્રાટકે તેવી સંભાવનાઓ ઉભી થઇ રહી છે. હાલ હવામાન વિભાગે સત્તાવાર રીતે જાહેર તો નથી કર્યું. જો કે દેશના અનેક રાજ્યોમાં હાલ વરસાદી આફત જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળથી લઇને કર્ણાટક સુધી હાલ કમોસમી વરસાદ થઇ રહ્યો છે. તેનાથી સ્પષ્ટ થઇ રહ્યું છે કે માર્ચ અંતમાં માવઠું કહેર મચાવી શકે છે.
72 કલાક ‘આકાશી સંકટ’ !
29 માર્ચથી 1 એપ્રિલ સુધી ગુજરાતમાં ખેડૂતોએ સાવધાન રહેવાની જરુર છે. કચ્છથી લઇને સૌરાષ્ટ્ર સુધી અને ઉત્તર ગુજરાતથી લઇ મધ્ય ગુજરાત સુધી માર્ચના અંતમાં મુશ્કેલી આવશે. હાલ તો આકાશ તપી રહ્યું છે. અલગ અલગ શહેરોમાં ગરમીનો પારો વધી રહ્યો છે. જો કે માર્ચ અંતમાં વાતાવરણમાં પલટો આવશે અને સતત ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે છે.
માર્ચના અંતમાં વધી શકે છે મુશ્કેલી
માર્ચ મહિનામાં એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયાતાના કારણે રાજ્યમાં માર્ચના છેલ્લા સપ્તાહમાં પણ બેવડી ઋતુનો અનુભવ યથાવત્ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાનની આગાહી મુજબ, 24 માર્ચે પશ્ચિમ હિમાલય પ્રદેશમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પહોંચશે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની 26 માર્ચથી ગુજરાતમાં અસર જોવા મળશે. પશ્ચિમી ભેજવાળા પવનના કારણે આગામી 1 એપ્રિલ સુધી રાજ્યનું વાતાવરણ પલટાઇને વાદળછાયું બની શકે છે. આ દરમિયાન 29 માર્ચથી 1 એપ્રિલ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે 10 મીમી સુધી એટલે કે, અડધા ઇંચથી ઓછો કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું કહેવું છે કે માર્ચના અંતમાં હવામાનમાં પલટો આવી શકે. જો કે હાલ કોઇ આગાહી નથી. આમ હાલ માત્ર શકયતાઓ છે. જો કે દેશના અનેક રાજ્યોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જો વરસાદ થશે. તો ધરતીપુત્રોની મુશ્કેલી વધી શકે છે. હાલ માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં જણસી આવી રહી છે. ત્યારે જો વરસાદ આવશે તો જણસી પર જોખમ ઉભું થઇ શકે છે.