Rajkot: ઓક્સિજનનાં અભાવે પિતાને ગુમાવ્યા તો તેમના અસ્થિમાંથી જ કર્યું ઓક્સિજનનું સર્જન, સૌથી વધારે ઓક્સિજન આપતા 5 વૃક્ષ વાવ્યા
Rajkot: કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન (Oxygen)ના અભાવે પિતાનું મૃત્યુ થતા બે દિકરીઓએ સૌથી વધુ ઓક્સિજન આપતા 5 વૃક્ષોનું વાવેતર કરીને પિતાને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી (Tribute) આપી હતી.
Rajkot: કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજન (Oxygen)ના અભાવે પિતાનું મૃત્યુ થતા બે દિકરીઓએ સૌથી વધુ ઓક્સિજન આપતા 5 વૃક્ષોનું વાવેતર કરીને પિતાને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી (Tribute) આપી હતી.
કોરોના મહામારીના વાયરામાં હજારો જીવનદીપ અકાળે ઓલવાઈ ગયા છે. આમતો મૃત્યુ એ જીવનનું અંતિમ સત્ય છે. જેનો જન્મ છે તેને એક દિવસ મરણને શરણ તો થવાનું જ હોય છે. પરંતુ અચાનક જ પોતાનું સ્વજન ગુમાવવું પડ્યું હોય એના પર શારીરિક અને માનસિક કેવી અસર પડે તે તો તેના સ્વજનને જ ખબર હોય છે.
પરિવારના આધારસ્તંભ એવા પિતાની અચાનક વિદાયથી પરિવાર સ્તબ્ધ થઇ ગયો હતો જો કે બંને દિકરીઓએ જે પિતાએ ઓક્સિજનની અછતથી જીવ ગુમાવ્યો તેજ ઓક્સિજનનું વાવેતર કરી પિતાને ખરા અર્થમાં શ્રધ્ધાંજલી પાઠવી છે. દિકરીઓએ પાંચ સૌથી વધારે ઓક્સિજન આપતા વૃક્ષને વાવીને તેમની યાદ તો તાજી રાખી જ છે પણ હવામાં ઓક્સિજન બરકરાર રહે તેનું પણ ધ્યાન રાખ્યું છે.
મૂળ ઇશ્વરીયા ગામના વતની અને છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં વસવાટ કરી જોબવર્ક કરી ભીમજીભાઇ જેરામભાઇ બોડા પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને તેમના પરિવારમાં બે દીકરી અને પત્નિનો સમાવેશ છે તેમના પત્નિ હસ્મિતાબેન બોડા રાજકોટની ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.
અચાનક કોરોનાની આફ્તમાં પરિવારનો આ માળો ઉજડી ગયો અને પરિવારના આધારસ્તંભ સમા ભીમજીભાઇ બોડાનું કોરોનાની બીજી ઘાતક લહેરમાં અવસાન થયું.
ભીમજીભાઈના અવસાન બાદ તેમના પત્નિ હસ્મિતાબેન અને મોટી પુત્રી આરઝૂએ હિન્દુ ધર્મ અનુસાર મૃતકના અંતિમ સંસ્કાર કર્યા, એમના આત્માના મોક્ષર્થે શાસ્ત્રોક્ત વિધિથી શાંતિ યજ્ઞ પણ કર્યો. પરંતુ અસ્થિ વિસર્જન માટે માતા પુત્રીએ સંકલ્પ કર્યો કે નદી કે કુંડના જળમાં અસ્થિ વિસર્જન કરીને જળને દૂષિત નથી કરવું.
અસ્થિફુલને પાંચ અલગ અલગ જગ્યાએ ખાડો કરી જમીનમાં પધરાવી ઉપર પીપળો , વડ , પીપર , ઉમરો અને પારસપીપળો જેવા પાંચ વૃક્ષ વાવવા જેથી વૃક્ષોના રૂપમાં એમની સ્મૃતિ કાયમી ધોરણે જળવાય રહે , પક્ષીઓને રહેઠાણ અને ખોરાક મળી રહે અને પર્યાવરણને પણ ફાયદો થાય..
કોરોના મહામારીમાં બીજી લહેર દરમિયાન મનુષ્ય જીવને ઓક્સિજનની કિંમત સમજાઈ છે. પ્રદુષિત વાતાવરણને કારણે શહેરમાં વસતા લોકોના ફેફસા , કિડની અને લીવર નબળા પડી રહ્યા છે. પ્રકૃતિ અને પર્યાવરણનું જતન નહીં કરીએ તો કોરોના જેવી મહાભયંકર બીમારીઓ એક પછી એક આવતી જ રહેશે , તેના થી બચવા માટે આ એક અતિ શ્રેષ્ઠ અને ક્રાંતિકારી વિચાર માનવામાં આવી રહ્યો છે.