ISRO નું ખાનગીકરણ નહીં થાય… હવે નવા અને ખાસ મિશન પર રહેશે ધ્યાન, સંસ્થાએ કરી ‘મોટી સ્પષ્ટતા’ – જુઓ Video
ISRO એ ખાનગીકરણના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે. સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેનું મહત્વ ઘટશે નહીં. ખાનગી કંપનીઓની ભાગીદારી વધવાથી ભારતનું અવકાશ ઇકોસિસ્ટમ મજબૂત બનશે. ISRO હવે અદ્યતન સંશોધન, માનવસહિત અવકાશ મિશન અને વ્યૂહાત્મક ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ ISRO નું ખાનગીકરણ નહીં પરંતુ ભારતીય અવકાશ ક્ષેત્રનું મોટું પરિવર્તન છે.
ISRO એ તાજેતરમાં ખાનગીકરણના આક્ષેપો અંગે સ્પષ્ટતા કરી છે. આમાં જણાવાયું છે કે, આ અહેવાલો પાયાવિહોણા છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ ભારપૂર્વક કહ્યું છે કે, તેને ન તો ખાનગીકરણ કરવામાં આવશે અને ન તો તેનું મહત્વ ઘટાડવામાં આવશે.
આ સ્પષ્ટતા ISRO ના કર્મચારી સંગઠનોમાં ખાનગી કંપનીઓ અને સ્ટાર્ટઅપ્સની અવકાશ ક્ષેત્રમાં વધતી ભાગીદારી અંગેની ચિંતાઓ વચ્ચે આવી છે. 4 સપ્ટેમ્બરના રોજ નવ કર્મચારી સંગઠને ISRO ના અધ્યક્ષ વી. નારાયણન સમક્ષ એજન્સીની ભવિષ્યની ભૂમિકા અંગે સ્પષ્ટતા માંગી હતી.
ISRO નું કહેવું છે કે, ખાનગી ક્ષેત્રની ભાગીદારીનો અર્થ ઇસરોની ભૂમિકા ઘટાડવાનો નથી પરંતુ ભારતના એકંદર અવકાશ ઇકોસિસ્ટમને વધુ મોટું અને મજબૂત બનાવવાનો છે. હવે પરિપક્વ તકનીકોનું ઉત્પાદન અને વિસ્તરણ ઉદ્યોગ તેમજ PSU દ્વારા કરી શકાય છે.
ISRO અદ્યતન સંશોધન, આગામી પેઢીની પ્રક્ષેપણ પ્રણાલીઓ, માનવસહિત અવકાશ મિશન, ઊંડા અવકાશ મિશન અને વ્યૂહાત્મક ક્ષમતાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. આ ખરેખર ISRO નું ખાનગીકરણ નથી પરંતુ ભારતના અવકાશ ક્ષેત્ર માટે એક મોટો પરિવર્તન છે.

