દિયોદરમાં મેઘ પ્રકોપ… 150થી વધુ ખેડૂતોના ઊભા પાક પાણીમાં ડૂબ્યા, યોગ્ય વળતર અને રાહત પેકેજની માંગ – જુઓ Video
બનાસકાંઠાના દિયોદર તાલુકામાં ત્રણ દિવસમાં 13 ઇંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મુલુકપુર સહિત 150થી વધુ ખેડૂતોના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે. બસ આના કારણે કપાસ, મગફળી અને જુવાર જેવા પાકને ભારે નુકસાન થયું છે. ખેડૂતો તાત્કાલિક સર્વે કરીને પાક નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે.
બનાસકાંઠાના દિયોદર તાલુકામાં છેલ્લા ત્રણ દિવસમાં 13 ઇંચથી વધુ વરસાદ વરસતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનો ભય સતાવી રહ્યો છે. દિયોદરના મુલુકપુર સહિતના વિસ્તારોમાં 150થી વધુ ખેડૂતોના ખેતરો પાણીમાં ડૂબી ગયા છે અને ટાપુ સમાન બની ગયા છે. કપાસ, મગફળી અને જુવાર જેવા ઊભા પાક વરસાદી પાણીમાં ગરકાવ થતાં પાક બચાવવાની આશા ઘટી રહી છે.
ખેતરોમાંથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી જમીનો હજુ પણ જળબંબાકાર છે, જેના પરિણામે ખેડૂતોની મહિનાઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અસરગ્રસ્ત ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે કરીને પાક નુકસાનીનું યોગ્ય વળતર અને રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.
ખેતીવાડી વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી 11થી વધુ ગામોમાં પાણી ભરાવાની માહિતી મળી છે પરંતુ પાકને મોટાપાયે નુકસાન થયાની કોઈ સત્તાવાર નોંધ સામે નથી આવી. વિભાગ દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને વરસાદી પાણી ઓસર્યા બાદ જરૂરી સર્વે હાથ ધરીને વાસ્તવિક નુકસાનીનું મૂલ્યાંકન કરવામાં આવશે.
