Iran-Israel-US War Impact: યુદ્ધની જ્વાળા વચ્ચે Amul નું આશ્વાસન; MDએ કહ્યું- ડેરી ઉદ્યોગ પર નહીંવત અસર

| Edited By: | Updated on: Mar 10, 2026 | 7:48 PM

પશ્ચિમ એશિયામાં સર્જાયેલા યુદ્ધના માહોલ વચ્ચે ભારતની સૌથી મોટી ડેરી બ્રાન્ડ 'અમૂલ' (Amul) એ સ્પષ્ટતા કરી છે કે દેશના ડેરી ઉદ્યોગ પર આની કોઈ ખાસ અસર નહીં થાય.

વિશ્વ સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક બજારો અને સપ્લાય ચેઈન પર ચિંતાના વાદળો છવાયા છે. જોકે, ભારતના ડેરી ક્ષેત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અમૂલ ફેડરેશન (GCMMF) ના મેનેજિંગ ડિરેક્ટરએ વર્તમાન પરિસ્થિતિ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, આ યુદ્ધની ભારતીય ડેરી ઉદ્યોગ પર નહીંવત અસર થશે.

ઉત્પાદન પર નહીં પડે અસર

અમૂલ મિલ્ક કંપનીના MDએ ખાતરી આપી છે કે દૂધ અને દૂધની બનાવટોના ઉત્પાદનને કોઈ પણ પ્રકારની આંચ નહીં આવે. તેમણે જણાવ્યું કે, “અમેરિકા-ઈરાન વચ્ચેની વર્તમાન પરિસ્થિતિને કારણે ડેરી સેક્ટરને નુકસાન થવાની સંભાવના ખૂબ ઓછી છે. ગ્રાહકોને સમયસર દૂધ અને તેની પ્રોડક્ટ્સ મળતી રહેશે.”

વૈકલ્પિક વ્યવસ્થાઓ સજ્જ

યુદ્ધના કારણે ઉર્જા ક્ષેત્રે જો કોઈ અસ્થિરતા સર્જાય તો તેને પહોંચી વળવા માટે અમૂલ પહેલેથી જ સજ્જ છે. MDના જણાવ્યા અનુસાર, તમામ ડેરી પ્લાન્ટ્સમાં બોઈલર અને અન્ય જરૂરી મશીનરી માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ (Backup Systems) ઉપલબ્ધ છે. આ આગોતરા આયોજનને કારણે ઈંધણ કે ઉર્જાના પુરવઠામાં આવતા કોઈ પણ અવરોધની અસર પ્રોસેસિંગ પર પડશે નહીં.

આ નિવેદનથી પશુપાલકો અને ગ્રાહકો બંનેમાં વિશ્વાસ વધ્યો છે કે આંતરરાષ્ટ્રીય તણાવ છતાં ઘરના રસોડા સુધી પહોંચતી દૂધની થેલી પર કોઈ સંકટ આવશે નહીં.

ક્રૂડ આઈલ, ગેસ, વ્યાપાર અને હવે યુદ્ધની જ્વાળા ‘ડેટા સેન્ટરો’ સુધી પહોંચી, ભારતને ગ્લોબલ ક્લાઉડ હબ તરીકે મળશે તક !, વાંચવા માટે અહીં ક્લિક કરો