રાજકોટમાં નર્સ હત્યા બાદ ઉઠ્યો ટ્રાન્સફર વિવાદ, તંત્ર સામે નારાજગી
રાજકોટમાં કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા નર્સની છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક રીતે હત્યા કરાઈ હતી, જેને લઈને અમદાવાદના GCRI કેન્સર હોસ્પિટલમાં આજે નર્સિંગ સ્ટાફે મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો.
રાજકોટમાં કેન્સર હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા નર્સની છરીના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક રીતે હત્યા કરાઈ હતી. પોલીસને આશંકા છે કે, મહિલાની હત્યા તેના પાડોશમાં રહેતા શખ્સે કરી હોય તેવું લાગી રહ્યું છે. હાલ પોલીસ તેના પર નજર રાખી રહી છે.
જાણકારી મુજબ, મૃતક મહિલા નર્સ ચાર મહિના પહેલા જ અમદાવાદથી ટ્રાન્સફર થઈને રાજકોટ આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટમાં થયેલ નર્સની હત્યાને લઈને અમદાવાદના GCRI કેન્સર હોસ્પિટલમાં આજે નર્સિંગ સ્ટાફે મોટી સંખ્યામાં એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો.
આ વિરોધનું મુખ્ય કારણ રાજકોટમાં મહિલા નર્સની હત્યા અને તેના ટ્રાન્સફર અંગેનું છે. સ્ટાફનું માનવું છે કે, મૃતક નર્સે પહેલા પણ ટ્રાન્સફર સામે રજૂઆત કરી હતી પણ હોસ્પિટલ તંત્રએ તેમની જ બધી મનમાનીઓ ચલાવી રાખી હતી. સ્ટાફે હોસ્પિટલ તંત્ર પર ગંભીર આક્ષેપ કર્યા છે કે, કર્મચારીઓની વાતની અવગણના કરવામાં આવે છે અને મનમાની નીતિ અપનાવવામાં આવે છે.
હોસ્પિટલના ડાયરેક્ટરે આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને જણાવ્યું છે કે, ટ્રાન્સફર ગવર્નિંગ બોર્ડના નિર્ણય મુજબ કરવામાં આવી હતી. હાલ ડાયરેક્ટર અને પોલીસ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ છે અને તંત્ર દ્વારા નર્સિંગ સ્ટાફને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.