આજે પવિત્ર દુર્ગાષ્ટમીનો વિશેષ દિવસ, અંબાજી ખાતે દાંતાના રાજવી પરિવારે કરી મા અંબાની આરતી
શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ આજના શુભ દિવસે દાંતા સ્ટેટના રાજવી પરિવાર સાથે મા અંબાની આરતી ઉતારે છે. આ પ્રથા આજે પણ જોવા મળી. રાજવી પરિવારના વંશજોએ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના કરી હતી.
આજે પવિત્ર દુર્ગાષ્ટમી એટલે કે આસો સુદ આઠમનો પર્વ છે. આજના પવિત્ર દિવસે દરેક યાત્રાધામો પર મોટા આયોજન થાય છે. શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે પણ આજના શુભ દિવસે દાંતા સ્ટેટના રાજવી પરિવાર સાથે મા અંબાની આરતી ઉતારે છે. આ પ્રથા આજે પણ જોવા મળી. રાજવી પરિવારના વંશજોએ અંબાજી મંદિરના ગર્ભગૃહમાં પૂજા-અર્ચના કરી હતી. માતાજીની પૂજા બાદ નવચંડી યજ્ઞ માટે યજ્ઞશાળા ખાતે વિશેષ હવનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એક પરંપરા મુજબ 130 પેઢીથી રાજવી પરિવાર આજના દિવસે પોતે જ માતાજીની આરતી ઉતારે છે અને હવનનું પણ કરે છે. ત્યાર બાદ મંદિરના પૂજારીઓને મંદિરની ચાવી સોંપે છે. આ રાજવી પરિવારનો અબાધિત અધિકાર છે. આસો સુદ આઠમના પવિત્ર દિવસે આમ તો અંબાજીમાં માનવ મહેરામણ ઉમટે છે, પરંતુ કોરોનાની મહામારીને કારણે ભક્તોની પાંખી હાજરી જોવા મળી.
નવરાત્રીમાં માં જગદંબાની આરતીનું વિશેષ મહત્વ છે. સામાન્ય પ્રકારે તો સૌ કોઈ માતાજીની આરતી કરે છે. પરંતુ કેટલાક લોકો વિશેષ રીતે માતાજીની આરતી કરતા હોય છે. આવી જ એક વ્યક્તિ છે આણંદના ખેડૂત રોહીત પટેલ. જેઓ છેલ્લા 19 વર્ષથી સાતમના દિવસે અંબાજી મંદિરે 501 દીવડાની આરતી ઉતારે છે. ગત રાત્રે પણ તેમણે 501 દીવડાની આરતી ઉતારી હતી. તેઓ માતાજીના ચોકમાં પોતાના શરીર પર આરતી લઈને માતાજીની આરાધના કરી હતી. આ વખતે ગરબા બંધ હોવા છતાં ખેડૂત પુત્રને માતાજીના ચોકમાં આરતી કરવાની પરવાનગી અપાઈ હતી.