બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ સુરતના કાપડ ઉદ્યોગની સ્થિતિ વણસી, વેપારીઓના 550 કરોડ ફસાયા, જુઓ Video
બાંગ્લાદેશમાં સીધું કાપડ મોકલતા હોય અથવા વાયા કોલકાતાથી કાપડ મોકલતા હોય તેવા સુરતમાં 250થી વધુ વેપારીઓ છે. હાલ બાંગ્લાદેશમાં દહેશત ભર્યો માહોલ છે. એક તરફ ત્યાંના હિન્દુઓ તો ડરમાં છે જ, પણ બીજી તરફ સુરતના વેપારીઓને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ ગુજરાતના સુરતમાં તેની અસર જોવા મળી રહી છે. શેખ હસીનાના દેશ છોડ્યા બાદ મોહમ્મદ યુનુસે સત્તા સંભાળી છે. જો કે આ દરમિયાન સુરતનો કાપડ ઉદ્યોગ ભીંસમાં આવ્યો છે. સુરતના વેપારીઓના 550 કરોડ રુપિયા બાંગ્લાદેશમાં ફસાયા છે. બાંગ્લાદેશમાં મોટાપાયે સુરતમાંથી કાપડની સપ્લાય થતી હોવાથી હવે કાપડ ઉદ્યોગને નુકસાનીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.
મોકલાયેલા માલનું પેમેન્ટ પણ મળી રહ્યું નથી
સુરતના પ્લેન ફેબ્રિક તેમજ સાડી, ડ્રેસની બાંગ્લાદેશમાં ભારે માગ હોય છે. બાંગ્લાદેશમાં ઢાંકા, ચટગાંવ, મીરપુર, કોમિલાના માર્કેટમાં સુરતથી સપ્લાય થાય છે. જો કે હવે બાંગ્લાદેશમાં સત્તા પલટા બાદ 250 વેપારીઓના 550 કરોડ રુપિયા અટવાયા છે. મોકલાયેલા માલનું પેમેન્ટ પણ મળી રહ્યું નથી.
250થી વધુ વેપારીઓ મુકાયા મુશ્કેલીમાં
બાંગ્લાદેશમાં સીધું કાપડ મોકલતા હોય અથવા વાયા કોલકાતાથી કાપડ મોકલતા હોય તેવા સુરતમાં 250થી વધુ વેપારીઓ છે. હાલ બાંગ્લાદેશમાં દહેશત ભર્યો માહોલ છે. એક તરફ ત્યાંના હિન્દુઓ તો ડરમાં છે જ. પણ, બીજી તરફ સુરતના વેપારીઓને પણ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આક્ષેપ છે કે છેલ્લા એક વર્ષથી સ્થિતિ વણસી છે. પણ, સત્તા પલટા બાદ તો વેપારીઓની સ્થિતિ કફોડી બની છે.
મુખ્યપ્રધાન અને વડાપ્રધાન PM મોદીને પત્ર લખી પગલા લેવા માગ
સમગ્ર મામલે સુરતના આડતિયા એસોસિએશન દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે મુખ્યપ્રધાન અને વડાપ્રધાન PM મોદીને પત્ર લખીને આ અંગે સત્વરે ધ્યાન આપવાની વિનંતી કરી છે. તેમને વિશ્વાસ છે કે PM મોદી આ અંગે કોઈ પગલા લેશે. જેથી વેપારીઓના અટવાયેલા નાણાં તેમને પરત મળે.