South Gujarat: સતત વરસાદથી નવસારીમાં શેરડીના ખેડૂતોની વધી ચિંતા, પાક નુકસાન જવાની સતાવી રહી છે ભીતિ
South Gujarat: છેલ્લા એક સપ્તાહથી સતત વરસાદ પડવાથી નવસારીમાં શેરડી પકવતા ખેડૂતોની ચિંતા વધી છે. સતત વરસાદને પગલે શેરડીને નુકસાન થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. વરસાદી પાણી ભરાઈ જવાથી જમીનમાં શેરડીમાં ફુગ ઉત્પન્ન થાય છે તેને કારણે પાક નિષ્ફળ જવાની ભીતિ છે.
દક્ષિણ ગુજરાતનો નવસારી (Navsari) જિલ્લો અનેક પ્રકારની ખેતી માટે ઉત્તમ ગણવામાં આવે છે. અહીં બાગાયતી પાકો સાથે શેરડી અને ડાંગરનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અવિરત વરસાદના કારણે નવી રોપાણની શેરડીને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ધોધમાર વરસાદ (Heavy Rain) વરસ્યા બાદ ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. પાણી ભરાવાથી જમીનમાં ફૂગ પેદા થાય છે .જેને કારણે શેરડી (Sugarcane)ના ઉત્પાદનને અસર થશે. આ સાથે ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે અને પાક નિષ્ફળ જવાની સંભાવનામાં પણ રહેલી છે. આ સ્થિતિમાં ખેડૂતોને ફેર રોપણી કરવાની ફરજ પડશે. જેને લઇને ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે.
હવેનો વરસાદ શેરડી અને શાકભાજી માટે નુકસાનકારક
છેલ્લા ત્રણ વર્ષ ખેડૂતો માટે ભારે કપરા રહ્યા છે. કુદરતી આફતો સામે ખેડૂત લાચાર બન્યો છે. અનરાધાર વરસાદના કારણે રાજ્યમાં અનેક જગ્યાએ ખેડૂતનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઇ રહી છે. શેરડીના રોપાણમાં વરસાદી પાણી ભરાઈ જતા જર્મિનેશન થતુ નથી અને શેરડી ઉગતી નથી. ખેડૂતો જણાવે છે કે હવે જે વરસાદ પડી રહ્યો છે તે શેરડીના પાકને અને શાકભાજીના પાકને ભારે નુકસાનકારક છે. હવેના વરસાદને કારણે ખાસ કરીને શેરડીના પાકમાં ફુગ બનવા લાગે છે. ત્યારે ખેડૂતોએ આ ફુગ દૂર કરવાની ટ્રિટમેન્ટ કરવી પડે. તેની અસર ઉત્પાદન પર પણ જોવા મળી છે. શેરડીમાં નીંદામણ નાશક દવાનો ઉપયોગ કરીને તેને કંટ્રોલ કરવાનું પણ હાલના સંજોગોમાં શક્ય નથી. જે ખેડૂતો ઉતાવળા થઈ આવુ કર્યુ હોય તો પણ તે ખર્ચો માથે પડે. ખેડૂતોને ઉત્પાદન ખર્ચ, સહિત જંતુનાશકોનો ખર્ચ એમ બેવડો માર પડે છે. તેમા પણ પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતોની ચિંતા પણ વધી છે.