લાંબી રાહ જોવડાવ્યા બાદ સૌરાષ્ટ્ર પર મહેરબાન થયા મેઘરાજા… જુનાગઢ, અમરેલી અને ગીરસોમનાથમાં મેઘાની જમાવટ
Saurashtra Rain: લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ મહેર વરસાવી છે અને ધરતીપુત્રોના જીવમાં જીવ આવ્યો છે. મોંઘા બિયારણો અને તનતોડ મહેનત કરીને વાવેલો પાક સુકાઈ રહ્યો હતો ત્યારે કાચા સોના જેવો વરસાદ વરસતા પાકને જીવતદાન મળ્યુ છે.
સૌરાષ્ટ્રમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા હતા. જામનગર, દ્વારકા સહિતના જિલ્લામાં સાવ ઓછો વરસાદ વરસતા છેલ્લા કેટલાય સમયથી આ જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ ઉઠી રહી હતી. આવા સમયે સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ તેમની અમી દૃષ્ટિ વરસાવી છે અને અનેક જિલ્લાઓમાં મેઘ મહેર થઈ છે. રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે.
શરૂઆતમાં સારો વરસાદ વરસ્યા બાદ છેલ્લા દોઢ મહિનાથી મેઘરાજા સૌરાષ્ટ્રથી રુઠ્યા હોય તેમ હાથતાળી આપી રહ્યા હતા. વાદળો બંધાય પરંતુ વરસાદ વરસતો ન હતો અને મોંઘા બિયારણો અને ખાતરો લાવીને વાવેલો પાક મુરજાઈ રહ્યો હતો. આવા સમયે ખેડૂતો પણ નિરાશામાં ધકેલાઈ રહ્યા હતા અને પાકને બચાવવા હવાતિયા મારી રહ્યા હતા. એવા સમયે કાચા સોના જેવો વરસાદ વરસ્યો છે અને ધરતીપુત્રોની મહેનતને નવજીવન મળ્યુ છે. ત્યારે ફરી વધુ એક વરસાદી રાઉન્ડ શરૂ થતા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.
