અમદાવાદમાં 30 જૂનના રોજ ભારે વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે એપલવુડ રોડથી સ્કાય આર્કેડ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ઔડાએ જાહેરનામું બહાર પાડી જાણકારી આપી છે.
ઔડાની જાણકારી અનુસાર આગામી 45 દિવસ સુધી એપલવુડ રોડથી સ્કાય આર્કેડ સુધીનો રસ્તો બંધ રહેશે. આ તરફ જવા માટે એસ.પી. રિંગ રોડથી ડાયવર્ઝન અપાયું છે. જેના પગલે બોપલ, શેલા સહિતના સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ત્યારે શેલામાં સ્ટોર્મ વોટર નેટવર્કના અભાવ હોવાનું ઔડાએ કબૂલાત કરી છે.
ઉલ્લેખનીય છે કે 30 જૂન 2024ના રોજ અમદાવાદમાં ભારે વરસાદ પડતા શેલા વિસ્તાર સહિત અનેક વિસ્તારના રસ્તાઓ જળમગ્ન થયા હતા. ત્યારે શેલા વિસ્તારમાં આવેલી એપલવુડ રોડથી સ્કાય આર્કેડ સુધીનો રસ્તો આખેઆખો બેસી ગયો છે.
તેમજ એપલવુડ સોસાયટીમાં ગટરના પાણી બેક મારતા હોવાની પણ સમસ્યા હોવાનું સામે આવ્યુ હતુ. સ્થાનિકોને બહાર નીકળવુ મુશ્કેલ બની ગયુ હતુ. ચોમાસા અવારનવાર વરસાદના પાણી ભરાઈ જતા રોગચાળો ફાટી નીકળે તેનો સ્થાનિકોમાં ભય સતત સતાવી રહ્યો છે.