Rajkot Rain Breaking: રાજકોટમાં મેઘતાંડવ : પોપટપરા ગરનાળું ગોઠણડૂબ પાણીમાં ગરકાવ થતાં બંધ
રાજકોટ શહેરમાં પડેલા ભારે વરસાદને પગલે નીચાણવાળા પોપટપરા ગરનાળામાં નદીની જેમ ધસમસતા પાણી વહેતાં માર્ગ બંધ કરાયો છે. જામનગર રોડ અને રેલનગર તરફ જતો વાહનવ્યવહાર અટવાતાં હજારો નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. મનપા દ્વારા પાણી નિકાલની કામગીરી અને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાજકોટ શહેરમાં પડેલા ધોધમાર વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારો પાણી-પાણી થઈ ગયા છે. દર વર્ષની જેમ આ વખતે પણ પોપટપરાનું રેલવે ગરનાળું ગોઠણડૂબ પાણી ભરાઈ જવાના કારણે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે, જેથી પોપટપરા અને રેલનગર તરફ જતો મુખ્ય વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.
જામનગર રોડ અને ભોમેશ્વર તરફથી આવતા વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે ગરનાળામાં નદી વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અકસ્માત ટાળવા માટે સ્થળ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે અને લોકોને પાણીમાં જતાં અટકાવવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા (RMC) ની ટીમો જેસીબી મશીન સાથે પાણીના ઝડપી નિકાલની કામગીરીમાં લાગી ગઈ છે.
સ્થાનિક અગ્રણીઓના જણાવ્યા મુજબ, જામનગર રોડ તરફ અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાથી અગાઉ કરતાં પાણી ઝડપથી ઓસરી રહ્યું છે, જ્યારે ભોમેશ્વર-ગાંધીગ્રામ તરફના પાણીના નિકાલ માટે રેલવે ટ્રેક નીચેથી આશરે ₹5 કરોડના ખર્ચે નવી બાયપાસ વોટર લાઇન નાખવાની કામગીરીનું આયોજન છે. જોકે, હાલ હજારો વાહનચાલકો અને સ્થાનિક રહીશો વર્ષો જૂની આ સમસ્યાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
