રાજકોટમાં ભેળસેળીયાઓ સામે RMCનો સપાટો, મેયરની ચેતવણી બાદ શહેરભરમાં તાબડતોબ દરોડા
રાજકોટમાં ભેળસેળખોરો સામે મહાનગરપાલિકાએ એક વર્ષીય મેગા ડ્રાઇવ શરૂ કરી છે. મેયર એ ભેળસેળ કરનાર તત્વોને ‘આતંકવાદીઓ સમાન’ ગણાવતા કડક કાર્યવાહીનો સંદેશ આપ્યો છે. આદેશ બાદ આરોગ્ય વિભાગની 8 ટીમોએ શહેરના વિવિધ રેસ્ટોરન્ટ અને ફૂડ યુનિટ્સમાં તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોના વેપારીઓ સામે હવે કડક કાર્યવાહીનો દોર શરૂ થયો છે. રાજકોટ મહાનગરપાલિકાના મેયર એ ભેળસેળખોરો સામે એક વર્ષ સુધી ચાલનારી મેગા ડ્રાઇવની જાહેરાત કરી છે. તેમણે કડક શબ્દોમાં જણાવ્યું કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરવી એ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાનું કામ છે અને તે આતંકવાદી કાવતરાથી ઓછું નથી.
મેયરના આદેશ બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની કુલ 8 ટીમોએ શહેરના ત્રણેય ઝોનમાં એકસાથે તપાસ અભિયાન શરૂ કર્યું. આ દરમિયાન શહેરની વિવિધ જાણીતી રેસ્ટોરન્ટ, ફૂડ યુનિટ્સ અને ફૂડ બ્રાન્ડ્સમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. તેમાં ‘પાપા લુઇસ પિઝા’ સહિતના કેટલાક એકમો પણ તપાસના દાયરામાં આવ્યા હતા.
મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું કે હાલમાં કાર્યરત ટીમોની સંખ્યામાં આગામી સમયમાં વધારો કરવામાં આવશે. સાથે જ રાજકોટમાં આધુનિક ફૂડ ટેસ્ટિંગ લેબ સ્થાપવાની યોજના પણ છે, જેથી ખાદ્ય પદાર્થોના સેમ્પલના પરિણામો ઝડપથી મળી શકે.
મેયરે શહેરના લોકોને પણ અપીલ કરી છે કે જો ક્યાંય ભેળસેળ અંગે શંકા હોય તો તેની જાણ તંત્રને કરે. આ અભિયાનનો મુખ્ય હેતુ લોકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક ઉપલબ્ધ કરાવવાનો છે. બીજી તરફ, મહાનગરપાલિકાની આ આક્રમક કાર્યવાહીથી ભેળસેળખોર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.