Vadodara: હનુમાનજીને તેલ ચડાવવા મૂર્તિ પાસે નહીં જવું પડે, એક બટન દબાવવાથી હનુમાનજીને તેલ અર્પણ થશે

| Edited By: | Updated on: Jan 11, 2022 | 1:38 PM

ભીડભંજન મારૂતિ મંદિરના મેનેજમેન્ટે ધાર્મિક વિધિના ભાગરૂપે ભગવાન હનુમાનને દૂરથી સુરક્ષિત રીતે તેલ અર્પણ કરવા માટે એક ખાસ સિસ્ટમ વિકસિત કરી છે.

કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે. આવા સમયે તમે મંદિરમાં જઇને ભગવાનને પ્રાર્થના કરવા માગો છો, પરંતુ કોરોનાનો ચેપ લાગવાનો ડર પણ છે. તો ડરવાની જરુર નથી. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલા સદીઓ જૂના હનુમાન મંદિર એક અનોખી સુવિધા શરુ કરવામાં આવી છે.

કોરોનાકાળમાં વડોદરામાં હરણી વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરમાં કોરોનાથી બચાવવા હનુમાનજી પોતે જ સંકટ મોચન બન્યા છે. અહીં ભીડભંજન મારૂતિ મંદિરના મેનેજમેન્ટે ધાર્મિક વિધિના ભાગરૂપે ભગવાન હનુમાનને દૂરથી સુરક્ષિત રીતે તેલ અર્પણ કરવા માટે એક ખાસ સિસ્ટમ વિકસિત કરી છે. જેમાં એક બટન દબાવવાથી ભગવાન પર તેલ અર્પણ થઈ જાય છે. ભક્તોએ માત્ર મંદિર પરિસરમાં ગર્ભગૃહની બહાર કેટલાક બટન દબાવવાના હોય છે.

એકવાર બટન દબાવ્યા પછી, હનુમાનજીની મૂર્તિ પર તેલ ચડાવવામાં આવે છે અને ગર્ભગૃહમાં મંત્ર ગૂંજી ઉઠે છે. લોકો 5, 10, 20 અને 50નું તેલ પણ ચડાવી શકે છે. મૂર્તિ પર જ્યારે તેલ ચડાવવામાં આવે છે ત્યારે ગર્ભગૃહ આપોઆપ પ્રકાશિત થઈ જાય છે. જેથી, ભક્ત ભગવાનની સારી રીતે ઝલક મેળવી શકે છે.

હનુમાનજી મંદિરના મહંતનું કહેવું છે કે, મોટાભાગના ભક્તો હનુમાનજીને તેલ અર્પણ કરે છે. પરંતુ કોરોનાના કારણે મંદિરના ગર્ભગૃહની અંદર ભક્તોને એકઠા કરવા તે ગાઈડલાઈન્સની વિરુદ્ધમાં હતું. જેથી હાલમાં મંદિરમાં ઓટોમેટિક મશીન મંદિરમાં ફિટ કરવામાં આવ્યુ છે. જેથી મંદિરમાં ભક્તોની ભીડ ન થાય, સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઇ રહે અને સંક્રમણ ન ફેલાવય.

બીજી તરફ ભક્તો પણ આ વ્યવસ્થાથી ખુશ છે અને તમામ લોકોનું કહેવું છે કે, યાંત્રિક હોવા છતાં, સેફ્ટી પ્રોટોકોલનું પાલન કરીને ભગવાનને તેલ અર્પણ કરવાનો તેમને સંતોષ મળે છે.

આ પણ વાંચોઃ રાજ્યના નવ સનદી અધિકારીઓની બઢતી અને બદલી, જાણો કોને ક્યા નિયુક્ત કરાયા?

આ પણ વાંચોઃ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અનુભવ, 12 શહેરોમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો

 

Follow Us
Loading...
Unable to load recommendations.