ખેતરોમાં વીજ થાંભલા નાખવાના મુદ્દે કોંગ્રેસના નેતાનો સરકાર પર આકરા પ્રહાર ” બીજા વિકલ્પ પર કામ કેમ નહીં…?”
મોરબી, જામનગર અને કચ્છમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી વીજ લાઇન પસાર કરવાના વિરોધમાં કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ સરકારને રણ વિસ્તારનો નવો રૂટ આપ્યો છે.
ગુજરાતમાં ખેતરોમાં વીજ થાંભલા નાખવાના ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પાલ આંબલિયાએ સરકારની નીતિઓ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. પાલ આંબલિયાએ સરકાર પર સીધો આરોપ લગાવ્યો છે કે, સરકારી તંત્ર ખરાબાની સરકારી જમીન છોડીને ખેડૂતોની કિંમતી અને ફળદ્રુપ જમીનમાંથી વીજ લાઇન પસાર કરી રહ્યું છે, જેનાથી ખેડૂતોના ખેતર બરબાદ થઈ રહ્યા છે.
તેમણે નકશા સાથે મીડિયા સમક્ષ સરકારને એક નવો વૈકલ્પિક રૂટ રજૂ કર્યો છે. આંબલિયાએ જણાવ્યું કે, “અમે સરકારને એક એવો વૈકલ્પિક રૂટ આપ્યો છે જેનાથી માત્ર 30 ખેડૂતોને જ અસર થશે. સરકાર રણ વિસ્તાર અને ખરાબાની જમીનવાળા વૈકલ્પિક રૂટ પર વીજ લાઇન નાખવા તૈયાર નથી. ખેડૂતોના ખેતર બરબાદ કરવામાં સરકારને શા માટે આટલો બધો રસ છે?”
વધુમાં તેમણે પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ સરકાર ખેડૂતલક્ષી હોવાની માત્ર ખોટી વાતો કરે છે. આ મુદ્દે તેમણે મોરબી, જામનગર અને કચ્છના કલેક્ટરને નકશા સાથે વૈકલ્પિક રૂટ સોંપીને વીજલાઇનનો રસ્તો બદલવા સત્તાવાર માંગ કરી હતી. તેમ છતાં સરકાર દ્વારા હજી સુધી આ અંગે કોઈ સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો નથી, જેને લઈને ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.