Porbandar : નિરમા કેમિકલ્સમાં બકેટ તૂટતા 1 કામદારનું મોત, પ્લાન્ટ બંધ કરવાની તજવીજ શરૂ કરાઇ
પોરબંદરની નિરમા કેમિકલ્સ પ્લાન્ટ બંધ કરાવવા તજવીજ શરૂ, તમામ કામદારોને ફેકટરી બહાર મોકલી દેવાયા, ઘટનાની ગંભીરતા લઈ વહીવટી તંત્ર એક્શન મોડમાં,પોલીસે પણ ઘટનાને પગલે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ શરૂ
પોરબંદરની જાણીતી નિરમા કેમિકલ્સમાં બકેટ તૂટી પડતા 5 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં 1 કામદારનું ઘટનાસ્થળે જ મોત થયું છે. બકેટ તૂટતા કુલ પાંચ કામદારો બકેટ નીચે દબાયા હતા. જેમાંથી ચાર કામદારોને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે 1 કામદારનું ઘટના સ્થળે જ મોત થયું છે. નોંધનીય છેકે છેલ્લા દોઢ મહિનામાં કુલ ત્રણ દુર્ઘટના બની છે. જેમાં અત્યાર સુધીમાં ત્રણ કામદારોના મોત થયાનું સામે આવ્યું છે. ત્યારે આજે બનેલી વધુ એક ઘટનાએ અનેક સવાલોએ જન્મ લીધો છે.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરમાં નિરમા ગ્રુપની સૌરાષ્ટ્ર કેમીકલ ફેકટરીમાં આવેલા કોલ વિભાગ કોલસાના વિભાગમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કોલસાની અવર જવર માટેનો પટ્ટો હોય છે ત્યાં મજુરો કામ કરતા હતાં. ત્યારે અચાનક જ ઉપરથી બકેટ તૂટતા બન્ને દબાઈ ગયા હતાં.અને લગભગ એકાદ કલાક પછી તેઓને કાઢવાની કાર્યવાહી થઈ હતી જેમાં ઓઘડભાઈ લાખાભાઈ જમોડનું કરૂણ મોત નિપજયું હતું.
બનાવની જાણ થતાં લાશને સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવી હતી અને ત્યાં તેના પરિવારજનો પહોંચી ગયા હતાં. તેના ભાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે, કંપનીમાં સેફટીનીકોઈ સુવિધા આપવામાં આવી ન હતી, તેથી તેના ભાઈનું મોત નિપજયું છે. કંપનીના અધિકારીઓને રજુઆત કરી હતી, પરંતુ તેઓએ કોઈ જ જવાબદારી લીધી નથી. તેથી અમારી માંગ એવી છે કે, મૃતકને સંતાનમાં ચાર દિકરી અને એક દિકરો છે, તેથી તેના પુત્રને કેઝયુલ કર્મચારી તરીકે સમાવી લેવામાં આવે તો તેમના પરિવારનું ભરણપોષણ થઈ શકે.