દાહોદમાં મનરેગા માં કૌભાંડ હવે પંચમહાલમાં નલ સે જલ યોજનામાં કૌભાંડ, માત્ર ખોદકામ કરી કાગળ પર પાણી પહોંચાડવાનો દાવો
દાહોદ મનરેગા કૌભાંડ બાદ હવે પંચમહાલના બોરિયા ગામમાં નલ સે જલ યોજનામાં મોટાપાયે કૌભાંડનો પર્દાફાશ થયો છે. ગામલોકોનો આક્ષેપ છે કે યોજના અંતર્ગત થયેલું કામ નબળી ગુણવત્તાનું છે, ક્યાંક માત્ર પાઈપો તો ક્યાંક માત્ર નળ લગાવી દેવાયા છે. યોગ્ય ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ થયો નથી. આ મામલે ગ્રામજનોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરી છે.
દાહોદમાં ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રો દ્વારા મનરેગા યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યુ હતુ, હજુ તેના પડઘા શમ્યા નથી ત્યાં વધુ એક કૌભાંડના ભણકારા વાગી રહ્યા છે. મનરેગા બાદ હવે સરકારની મહત્વાકાંક્ષી નલ સે જલ યોજનામાં કૌભાંડ કરાયુ હોવાનો ગામલોકો આક્ષેપ કરી રહ્યા છે. ગામલોકો એ કલેક્ટરને લેખિતમાં અરજી આપી સમગ્ર મામલે તપાસની માગ કરી છે. યોજનાના કામમાં ગુણવત્તા ન જાળવવામાં આવી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સ્થાનિક કક્ષાએ અનેક વખત રજૂઆત કરવા છતા કોઈ કાર્યવાહી ન થતા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ છે.
પંચમહાલના બોરિયા ગામમાં ‘નલ સે જલ’ યોજના અંતર્ગત પાણીની ટાંકી બનાવવામાં આવી અને પાણીની પાઈપલાઈન નાખવામાં આવી હતી. જેથી ગામના લોકોને ઘરમાં નળ દ્વારા પાણી મળી રહે. પરંતુ ગામલોકોનો આક્ષેપ છે કે કામમાં યોગ્ય ગુણવત્તાનું મટિરિયલ વપરાયુ નથી. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામમાં કોઈ જગ્યાએ યોગ્ય કામ થયુ નથી. અમુક જગ્યાએ માત્ર પાઈપો નાખી દેવાઈ છે જ્યારે અમુક જગ્યા એ માત્ર નળ નાખી દેવાયા છે. બેદરકારીની હદ તો એ છે કે કેટલીક જગ્યાએ માત્ર ખોદકામ કરીને કાગળ પર નલ સે જલ યોજના દ્વારા પાણી પહોંચાડવાનો દાવો કરાઈ રહ્યો છે. આ સમગ્ર મામલે ગામલોકોએ કલેક્ટર સમક્ષ તપાસની માગ કરી છે. 2.13 લાખ રૂપિયાની યોજના બતાવી 50 ઘરોમાં પાણી પહોંચાડવાનો દાવો કરાઈ રહ્યો છે, જો કે એક પણ ઘરને પાણી મળી રહ્યુ નથી.
