Breaking News: ભાવનગરમાં હનુમાન જયંતિની ઉજવણીમાં મોટી દુર્ઘટના, મહુવાની શાળામાં પાઉંભાજી અને પુલાવ ખાધા બાદ 100થી વધુ વિદ્યાર્થીઓને ઝેરી અસર
ભાવનગરના મહુવા તાલુકાની લોંગડી પ્રાથમિક શાળામાં હનુમાન જયંતિ નિમિત્તે આપવામાં આવેલા નાસ્તા બાદ ગંભીર ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે. પાઉંભાજી અને પુલાવ ખાધા પછી અચાનક 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત લથડતા સમગ્ર પંથકમાં અફરાતફરી મચી ગઈ હતી.
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા લોંગડી ગામની પ્રાથમિક શાળામાં આજે હનુમાન જયંતિના પવિત્ર પર્વે એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. મહાવીર સમાજ દ્વારા હનુમાન જયંતિ નિમિત્તે શાળાના બાળકો માટે પાઉંભાજી અને પુલાવના નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ નાસ્તો કર્યાના થોડા જ સમયમાં વિદ્યાર્થીઓને ઉલટી-ઉબકા અને પેટમાં દુખાવા જેવી ખોરાકી ઝેરની (ફૂડ પોઈઝનિંગ) અસરો થવા લાગી હતી.
જોતજોતામાં 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત બગડતા ગ્રામજનો અને આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ગંભીર હાલત ધરાવતા 25 જેટલા વિદ્યાર્થીઓને તાત્કાલિક મહુવાની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 60થી વધુ બાળકોને લોંગડી ગામમાં જ સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
આ ઘટનાને પગલે વાલીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. નાસ્તો બનાવવામાં વપરાયેલી સામગ્રીમાં કોઈ ગરબડ હતી કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્ર દ્વારા ખોરાકના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સદનસીબે હાલ તમામ બાળકોની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
(ઈનપુટ ક્રેડિટ: સંજય વાળા)
