Ahmedabad: ભાજપના શાસકો બ્રિજનું લોકાર્પણ કરે તે પહેલા વિપક્ષે કર્યું આઇકોનિક બ્રિજનું ઉદ્ધાટન
અમદાવાદના (Ahmedabad) સાબરમતી નદી પર તૈયાર કરાયેલો 300 મીટર લાંબા ફૂટબ્રિજ (Footbridge) પર ચાલવા માટે શહેરીજનો કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યા હતા. નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડતા અત્યાધુનિક બ્રિજનું AMC દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં (Ahmedabad) સૌ કોઇનું ફરવા માટેનું લોકપ્રિય સ્થળ સાબરમતી રિવરફ્રન્ટ (Sabarmati Riverfront) છે. AMC દ્વારા અહીં પરિવારજનો સાથે લોકો મજા માણી શકે તે માટે અનેક આકર્ષણો રાખવામાં આવ્યા છે. ત્યારે સાબરમતી રિવરફ્રન્ટ ઓથોરિટી દ્વારા વધુ એક આકર્ષણ ઉમેરવામાં આવ્યુ છે. સાબરમતી રિવરફ્રન્ટ પર ફૂટ ઓવર બ્રિજ કે જેને આઇકોનિક બ્રિજ પણ કહેવામાં આવે છે તેને રુ. 75 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. ઘણા સમયથી લોકો તૈયાર થઇ ગયેલા આ બ્રિજનું ઉદ્ઘાટન થવાની રાહ જોઇ રહ્યા હતા. પણ અંતે અમદાવાદ કોર્પોરેશનના વિપક્ષના નેતા શહેઝાદ ખાને (Shehzad Khan) પોતાના સમર્થકો સાથે આ બ્રિજને ખુલ્લો મુકી દીધો છે. જેને લઇને વિવાદ સર્જાયો છે.
વિપક્ષના નેતા શહેઝાદ ખાને બ્રિજને ખુલ્લો મુક્યો
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ફૂટબ્રિજ આગામી આકર્ષણ છે. તે નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડે છે. જો કે અમદાવાદ શહેરનો આ પ્રથમ આઇકોનિક બ્રિજ ઉદ્ધાટન પહેલાં વિવાદમાં સપડાયો છે. 2 મહિનાથી બનીને તૈયાર આઇકોનિક બ્રિજનું શાસકોએ ઉદ્ધાટન ન કર્યું. તો વિપક્ષના નેતા શહેઝાદ ખાને બ્રિજને ખુલ્લો મુકી દીધો. પોતાના સમર્થકો સાથે બ્રિજ પર પહોંચેલા વિપક્ષના નેતા શહેઝાદ ખાને બ્રિજનું ઉદ્ધાટન કર્યું અને લોકોના ઉપયોગ માટે ખુલ્લો મુક્યો.
ચૂંટણીમાં લાભ ખાટવા માટે રાહ જોવાનો આરોપ
શહેઝાદ ખાનનો આરોપ છે કે, આઇકોનિક બ્રિજ 2 મહિનાથી બનીને તૈયાર પડ્યો છે. પરંતુ ચૂંટણીમાં લાભ ખાટવા માટે ભાજપના શાસકો તેનું ઉદ્ધાટન કરવાનું ટાળી રહ્યા છે. જેના પગલે લોકહિતમાં અમારે આઇકોનિક બ્રિજનું ઉદઘાટન કરવુ પડ્યુ છે. અગાઉ પણ આજ રીતે વિપક્ષે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું ઉદ્ધાટન કર્યુ હતું.
300 મીટર લાંબો ફૂટબ્રિજ
અમદાવાદના સાબરમતી નદી પર તૈયાર કરાયેલો 300 મીટર લાંબા ફૂટબ્રીજ પર ચાલવા માટે શહેરીજનો કાગડોળે પ્રતીક્ષા કરી રહ્યા હતા. નદીના પૂર્વ અને પશ્ચિમ કિનારાને જોડતા અત્યાધુનિક બ્રિજનું AMC દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 2100 મેટ્રિક સ્ટીલનું વજન, 300 મીટર બ્રિજની લંબાઈ અને 100 મીટર વચ્ચેનો સ્પાન, બ્રિજ પર બેસવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
ફૂટ ઓવરબ્રિજ પર આરસીસી ફલોરિંગ, પ્લાન્ટર તથા સ્ટેઈનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. બ્રિજના છેડે પતંગ આકારના સ્કલ્પચર મુકાશે. વચ્ચેના ભાગે 10 મીટરથી 14 મીટરની પહોળાઈમાં બેસવાની વ્યવસ્થા પણ મળી રહેશે. જેમાં ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન કરવાનું પણ આયોજન છે. આ સિવાય કલર ચેન્જ થઈ શકે એવી ડાઈનેમિક એલઈડી લાઇટથી બ્રીજફુટ મઢાયો છે.