સુરતથી ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીનો મોટો આરોપ, મે નહીં કોંગ્રેસે મારી સાથે કરી મોટી ગદ્દારી – Video

|

May 10, 2024 | 11:35 PM

સુરત લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થતા બિનહરીફ જાહેર કરાઈ છે. ત્યારે કોંગ્રેસના કાર્યકરો નિલેશ કુંભાણીને ગદ્દાર ગણાવી રહ્યા છે. આ મામલે નિલેશ કુંભાણીએ પલટવાર કર્યો છે અને સૌથી મોટો આરોપ લગાવ્યો છે કે મે નહીં કોંગ્રેસે મારી સાથે સૌથી મોટી ગદ્દારી કરી છે.

સુરતથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમા તેઓ કોંગ્રેસ પર સૌથી મોટો આરોપ લગાવી રહ્યા છે. સુરતથી તેમના ટેકેદારો ફરી જતા તેમનુ ફોર્મ રદ થયુ હતુ અને સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે. ત્યારે કોંગ્રેસના જ લોકો કુંભાણી સામે ભાજપને મદદ કરવાનો આરોપ લગાવી રહ્યા છે. આ આરોપોને ફગાવતા નિલેશ કુંભાણીએ સીધો કોંગ્રેસ પર જ પલટવાર કર્યો છે. કુંભાણીએ જણાવ્યુ કે મે નહીં કોંગ્રેસે મારી સાથે મોટી ગદ્દારી કરી છે. મારી પહેલા 2017માં કોંગ્રેસે ભૂલ કરી હતી. કુંભાણીએ કહ્યુ કે મારે આરોપો લગાવીને કોઈને મોટા નથી કરવા.

ફોર્મ રદ થયા બાદ કુંભાણીના ગાયબ થવા અંગે તેમણે જણાવ્યુ કે હું અત્યાર સુધી મારા ઘરે જ હતો. મારે ભાજપ સાથે કંઈ લેવાદેવા નથી. મારા ટેકેદારો કોંગ્રેસના જ કાર્યકરો હતા. અમે પિટિશન દાખલ કરવા નીકળ્યા ત્યારે જ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. સુરત કોંગ્રેસના જ કેટલાક લોકો મારો વિરોધ કરે છે. તો ભાજપની ગાડીમાં ભાગ્યા હોવાની વાતનું કુંભાણીએ ખંડન કર્યુ. નિલેશ કુંભાણીને પક્ષના ગદ્દાર ગણાવતા કુંભાણી કોંગ્રેસ પાર્ટી સામે જ આરોપો લગાવ્યા છે અને પોતાની પાર્ટીને જ સૌથી મોટી ગદ્દાર ગણાવી છે. જો કે કુંભાણીએ ક્યા લોકો તેનો વિરોધ કરે છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. એટલે તેમના આરોપો કેટલા સાચા છે અને તેમની વાતમાં કેટલુ તથ્ય છે તે જોવુ રહ્યુ.

 

આ પણ વાંચો: માણાવદર પેટાચૂંટણીના ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીએ પણ કાઢ્યો બળાપો, પાટીલને પત્ર લખી જવાહર ચાવડાની કરી ફરિયાદ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:35 pm, Fri, 10 May 24

Next Video