નર્મદા: રાજપીપળામાં કલેક્ટરની પ્રથમ સંકલન બેઠક જ બની તોફાની, પાણી અને રસ્તાના મુદ્દે મનસુખ વસાવા અને ચૈતર વસાવા અધિકારીઓ પર વરસ્યા
રાજપીપળામાં નવા કલેક્ટર ગંગા સિંહના અધ્યક્ષ સ્થાને મળેલી પ્રથમ સંકલન બેઠકમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રોડ-રસ્તા અને પીવાના પાણીના મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો હતો.
નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે નવા નિમાયેલા કલેક્ટર ગંગા સિંહના અધ્યક્ષ સ્થાને પ્રથમ સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ડેડિયાપાડાના ‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, જનતાના પ્રશ્નોને લઈને આ પહેલી જ બેઠક અત્યંત તોફાની બની ગઈ હતી. બેઠકમાં પક્ષભેદ ભૂલીને ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ વહીવટી તંત્ર સામે એકસૂરે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા.
ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવાએ કાળઝાળ ઉનાળામાં લોકોને પડતી પીવાના પાણીની મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવી અધિકારીઓ પાસે જવાબ માંગ્યા હતા. આ ઉપરાંત, ડેડિયાપાડાથી બોગજ અને જૂનારાજ વિસ્તારના બંધ પડેલા રસ્તાઓની કામગીરી મુદ્દે ભારે હોબાળો થયો હતો. વર્ક ઓર્ડર આપી દીધા હોવા છતાં વન વિભાગના અધિકારીઓએ કામ અટકાવ્યું હોવાની વિગતો સામે આવતા સાંસદ મનસુખ વસાવા ભારે રોષે ભરાયા હતા. નેતાઓએ તીખા તેવર બતાવી અધિકારીઓની નબળી કામગીરી અને સંકલનના અભાવ પર આકરા પ્રહારો કર્યા હતા અને ઉનાળામાં પાણીની સમસ્યા તાત્કાલિક દૂર કરવા કડક સૂચના આપી હતી. આ તોફાની બેઠક વહીવટી આલમમાં ભારે ચર્ચાનો વિષય બની છે.