તંત્રની શરમ મરી પરવારી! રોડ બિસ્માર બનતાં વિદ્યાર્થીઓ અને ખેડૂતોમાં ભારે જનઆક્રોશ, વોટ માંગનારા હવે ‘ક્યાં છુપાયા’?
મહેસાણાના બહુચરાજીમાં રામપુરાથી રાંતેજ રોડ બિસ્માર બનતા અને એસટી બસ બંધ થતાં સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. ખાડા અને કપચીવાળા રસ્તાનું તંત્ર વહેલી તકે સમારકામ નહીં કરે તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
મહેસાણાના બહુચરાજી પંથકમાં બિસ્માર રસ્તાઓને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રામપુરાથી રાંતેજને જોડતો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોવાના કારણે વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. હાલમાં આ રસ્તા પર ડામરની જગ્યાએ માત્ર મસમોટા ખાડા અને કપચીઓ જ જોવા મળી રહી છે. રસ્તાની આ ખરાબ સ્થિતિના કારણે એસટી (ST) બસની સુવિધા પણ પ્રભાવિત થઈ છે.
પરિણામે રામપુરા, કાનપુરા, તેજપુરા અને રાંતેજ ગામના લોકોની માગ છે કે, વહીવટી તંત્ર સત્વરે આ રસ્તાનું સમારકામ કરે અને બહુચરાજી સુધીની ST બસ સેવા તાત્કાલિક ધોરણે શરૂ કરે. આ બધા વચ્ચે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે, જો વહેલી તકે રસ્તાનું કામ પૂરું કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

