મોટા ઉપાડે જાહેરમાં ચર્ચાનો પડકાર ઝીલનાર ભરૂચના સાંસદે આખરે નમતુ જોખી લીધુ છે. નર્મદાના રાજપીપળામાં ધારાસભ્ય ચૈતર વસાવા અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે યોજાનારી ઓપન ડિબેટ રદ થઇ છે. સાંસદ વસાવાએ પહેલા ગંભીર આરોપ લગાવ્યા અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાની ચેલેન્જ સ્વીકારી હતી. જોકે મનસુખ વસાવા હવે ખુલ્લી ચર્ચામાં ભાગ નહીં લે. આમ કરવા પાછળ મનસુખ વસાવાએ કાયદો વ્યવસ્થાની સ્થિતિને કારણભૂત ગણાવી. સાંસદ વસાવાએ આરોપ લગાવ્યો કે આપના નેતાઓ તોફાની અને ગુનાહીત ઇતિહાસ ધરાવતા છે. જેના કારણે કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી શકે છે. જોકે જિલ્લાના પ્રશ્નો અને જિલ્લાના કાર્યકરો તથા મીડિયાની હાજરીમાં ખુલ્લી ચર્ચા માટે મનસુખ વસાવાએ તૈયાર હોવાની વાત કરી.
આ પણ વાંચો-Gujarati Video : કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના બદલાયા સૂર, ગુજરાત સરકારની કરી ભરપેટ પ્રશંસા !
તો અગાઉ ખુલ્લી ચર્ચામાં રાજપીપળા ખાતે ભાગ લેવા જઇ રહેલા ચૈતર વસાવાને પોલીસે અટકાવ્યા હતા. મોવી ચોકડી ખાતે નર્મદા પોલીસે ચૈતર વસાવાના કાફલાને અટકાવીને ચર્ચા સ્થળે જતા રોક્યા હતા. આ સમયે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ મનસુખ વસાવા પર પાણીમાં બેસી જવાનો આરોપ લગાવ્યો અને દાવો કર્યો કે ભ્રષ્ટાચારી ભાજપની પોલ ખુલી જવાના ડરથી મનસુખ વસાવાએ શરણાગતિ સ્વીકારી લીધી છે.
મહત્વપૂર્ણ છે કે જાહેરમાં ચર્ચા કરતા પહેલા નેતાઓ સો વાર વિચાર કરતા હોય છે, કારણ કે પ્રજામાં ચર્ચાના સારા અને નરસા બંને પાસા રહેલા છે. જોકે સાંસદે પહેલા હા અને પછી ના કહેતા સવાલો સર્જાયા છે. અહીં સવાલ એ સર્જાય કે કેમ મનસુખ વસાવા ચર્ચાથી ભાગી રહ્યા છે. શું વસાવાને ભ્રષ્ટાચારાની પોલ ખુલવાનો તો ડર નથી ને શું આમ આદમી પાર્ટી ચર્ચાના નામે રાજનીતિ તો નથી કરી રહીને, શું ખરેખર તંત્રને કાયદો વ્યવસ્થા કથળવાનો ભય હતો, ત્યારે ચર્ચાના નામે શરૂ થયેલી રાજનીતિ હવે ક્યાં જઇને અટકે છે તે જોવું રહ્યું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…