જામનગર મનપામાં રામરાજ નહીં રાવણરાજ, કમિશન વગર કોઈ કામ થતા ના હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
જામનગરના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ, રાવણનો પરીવેશ ધારણ કરીને ભાજપ શાસિત મનપા સામે પ્રતિકાત્મક રીતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જામનગર મહાનગરપાલિકામાં રામ રાજ્ય નહીં રાવણ રાજ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો.
જામનગર મહાનગરપાલિકાની યોજાયેલ સામાન્ય સભા પહેલા કોંગ્રેસના મહિલા કોર્પોરેટરે અનોખો વિરોધ વ્યક્ત કર્યો હતો. જામનગરના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ, રાવણનો પરીવેશ ધારણ કરીને ભાજપ શાસિત મનપા સામે પ્રતિકાત્મક રીતે અસંતોષ વ્યક્ત કર્યો હતો. જામનગર મહાનગરપાલિકામાં રામ રાજ્ય નહીં રાવણ રાજ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જામનગરમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મહાનગરપાલિકામાં કોઈ નોંધપાત્ર વિકાસ કામ થયા નથી. દર વર્ષે રજૂ થતુ ફુલ ગુલાબી બજેટ માત્ર કાગળ પર જ રહી જાય છે અને વાસ્તવમાં કોઈ કામગીરી ઘરતી પર થતી નથી તેવી પણ ટીકા કરી હતી. જામનગર શહેરમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, પાણી અને સફાઈ જેવી સેવાઓ યોગ્ય રીતે ઉપલબ્ધ ન હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
તો આ તરફ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા પૂર્વે કોંગ્રેસે મનપા કચેરીનો ઘેરાવ કર્યો હતો. કોંગ્રેસના કોર્પોરેટરો, કાર્યકરોએ ભ્રષ્ટાચારના મુદ્દે સુત્રોચ્ચાર સાથે દેખાવ કર્યો હતો. મનપામાં પારદર્શિતા ના હોવાના કારણે વિકાસકાર્યો પ્રભાવિત થવાનો આક્ષેપ કર્યો છે. સ્ટેન્ડિંગ કમિટીને લઈને કોંગ્રેસે ટીકા કરતા તેને “સેટિંગ કમિટી” ગણાવી ગંભીર આક્ષેપો કર્યા હતા.