અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની મહારેલી યોજાઈ, 15 હજાર કરતા વધુ લોકો જોડાયા
Ahmedabad News : રેલી દરમિયાન જૈન સમાજના લોકો સૂત્રોચ્ચાર કર્યા હતા. 3 કિલોમીટરથી વધુની લાંબી રેલીમાં 15 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા.
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ. રોહિશાળામાં પ્રભુના ચરણ પાદુકાની તોડફોડ મુદ્દે તપાસ કરવાની માગ સાથે પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી. રેલી દરમિયાન જૈન સમાજના લોકો સૂત્રોચ્ચાર કર્યા હતા. 3 કિલોમીટરથી વધુની લાંબી રેલીમાં 15 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. રેલીના કારણે એક તરફનો 3 કિમી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. રેલીના રુટ પર અલગ અલગ જગ્યાએ નાના સ્ટેજ બનાવીને રેલીને પ્રોત્સાહન માટે સ્પીકર પર સુત્રોચાર કરાયા હતા.
જૈન મુનિઓ પણ રેલીમાં જોડાયા
કલેકટર ઓફિસ પાસે બનાવેલા સ્ટેજ પર જૈન મુનિઓ બિરાજમાન થયા હતા. ગિરીરાજ પર બની રહેલા ગેરકાયદે દબાણો અટકાવવા જૈન સમાજની માગ છે. માગ પૂરી ન થાય ત્યાં સુધી અહિંસક રીતે વિરોધ ચાલુ રહેશે તેવી જૈન સમાજની ચીમકી છે. ત્રણ દિવસમાં માગ નહીં સંતોષવામાં આવે તો ઉપવાસ અને ધરણા સાહિતના કાર્યક્રમો આગામી દિવસોમાં યોજાશે.
જૈન સમાજમાં ભારે રોષ
થોડા દિવસ પહેલા પાલીતાણામાં જૈન મંદિર પર હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. શત્રુંજય ગિરિરાજની તળેટીમાં આવેલા રોહિશાળા ગામમાં જૈનોના પ્રથમ તીર્થંકર આદિનાથ દાદાના પ્રાચીન પગલાંને મલિન તત્વો દ્વારા ખંડિત કરવામાં આવ્યા હતા. સાથે મંદિર પર લગાવેલા સીસીટીવી કેમેરા તથા થાંભલાઓ તોડી પાડવામાં આવ્યા. જેને લઇને ગુજરાતભરમાં જૈન સમાજની લાગણી દુભાઈ છે.
બીજી તરફ પાલીતાણામાં નીલકંઠ મંદિરમાં પુજારી અને આણંદજી કલ્યાણજીની પેઢી વચ્ચે મંદિર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. જયાં મંદિર બહાર પેઢીએ મુકેલા સીસીટીવીમાં શિવ મંદિરના પુજારી અને તેના સાગરીતોએ તોડફોડ કરી હોવાનું સામે આવતા જૈન સમાજના લોકો રોષે ભરાયા હતા.
