ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. અરવલ્લીના ધનપુરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અરવલ્લીના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે. આશરે 1 કલાકમાં દોઢ ઈંચ જેવો વરસાદ વરસ્યો છે. જેના પગલે સોની કંપા, બુટાલ સહિતના પંથકમાં વરસાદ વરસ્યો છે. વરસાદી વાતાવરણને લઈ ખેડૂતોને વાવેતરમાં નુકસાનની ચિંતા છે.
બીજી તરફ ભાવનગરના તલગાજરડાના રતોલ ગામે ધોધમાર વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્તા અનેક રસ્તા પર ઘુંટણસમા પાણી ભરાયા છે. ત્યારે ટ્રેક્ટર ચાલક જોખમી રીતે પાણીમાંથી પસાર થતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ખેતરોમાં પણ મોટા પાયે વરસાદી પાણી ભરાયા હતા.
છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભરુચના વાલિયામાં 5 ઈંચથી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદાના સાગબારામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ખેરગામમાં પણ 2.9 ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ 22 તાલુકામાં 1 ઈંચથી વધારે વરસાદ ખાબક્યો છે.