51 શક્તિપીઠ પૈકીમાંના એક એટલે અંબાજીમાં મોહનથાળના પ્રસાદ મુદ્દે શરૂ થયેલું જનઆંદોલન ઉગ્ર બન્યું છે. વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો અને કાર્યકરો અંબાજી મંદિરના પરિસરમાં જ મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ થાય તે માટે ધરણા કરશે.
અંબાજી મંદિર પરિસરમાં સાંજે ધરણા બાદ રાતે મહા આરતીનો કાર્યક્રમ યોજાશે. જે દરમિયાન માતાજીને મોહનથાળનો પ્રસાદ ધરાવીને મંદિર પરિસરમાં શ્રદ્ધાળુઓને વહેંચવામાં આવશે. રાજ્યભરના મંદિરોમાં VHP દ્વારા આવતીકાલે પ્રદર્શનની પણ ચીમકી આપવામાં આવી છે. રાજ્યભરમાં કાલે મંદિરોમાં મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવશે.
અંબાજી મંદિરમાં વર્ષોથી દર્શને આવતા શ્રદ્ધાળુઓ પણ પ્રસાદ વિવાદને લઈ નારાજ છે. ભક્તોના મતે મોહનથાળની માતાજીના પ્રસાદ તરીકે એક આગવી ઓળખ છે. જેનું સ્થાન ચીકી કે અન્ય કોઈ પ્રસાદ ન લઈ શકે. શ્રદ્ધાળુઓના મતે દેવસ્થાન ટ્રસ્ટ કે સરકારે ઝડપથી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવા મુદ્દે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. શ્રદ્ધાળુઓની આસ્થાને મહત્વ આપીને પરંપરા યથાવત રાખવી જોઈએ.
અંબાજીના પ્રસાદ વિવાદ મુદ્દે વિરોધનો વંટોળ વધુ શરૂ થયો છે. અંબાજીના પ્રસાદને લઈ વિધાનસભા ગૃહમાં પણ કોંગ્રેસે હોબાળો કર્યો હતો. વિધાનસભામાં કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો આમને સામને આવી ગયા હતા. હોબાળો થતા કોંગ્રેસના ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
કોંગ્રેસના ધારાસભ્યોએ ચીકીના પ્રસાદનો બચાવ કરવા મામલે નારેબાજી કરી. જેની સામે ભાજપના ધારાસભ્યોએ મોદી મોદીના નારા શરૂ કરી દીધા. જે બાદ કોંગ્રેસે બોલ માડી અંબેનો નાદ વિધાનસભામાં ગજવી દીધી હતી. આ બધા વચ્ચે વિધાનસભા અધ્યક્ષે તો વિપક્ષના ધારાસભ્યોને વોક આઉટ કરવુ હોય તો છૂટ આપી દીધી. પરંતુ કોંગ્રેસે નારેબાજી યથાવત્ રાખતા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દેવાયા.