દુષ્કાળના ડાકલા વચ્ચે દ્વારકા- ભાણવડ પંથકમાં મેહુલિયે કીધી મહેર… ધરતીપુત્રોમાં ખુશીની લહેર – Video
ગુજરાતમાં ખાસ કરીને જામનગર, દ્વારકા અને કચ્છ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ વરસ્યો છે. જેમા છેલ્લા કેટલાય સમયથી વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની પણ માગ ઉઠી હતી. આ તમામ વચ્ચે આજે દ્વારકા જિલ્લાના ભાણવડમાં મેઘમહેર થતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.
છેલ્લા દોઢ મહિના કરતા પણ વધુ સમયથી ગુજરાતમાં વરસાદ ખેંચાયો હતો. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ દ્વારકા અને કચ્છ જિલ્લામાં પડ્યો છે. ત્યારે ખેડૂતોને દ્વારા છેલ્લા કેટલાય દિવસોથી દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ થઈ રહી હતી. વિધાનસભાના ત્રિદિવસીય મોનસુન સત્રમાં પણ વિપક્ષ દ્વારા દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરાઈ હતી. વરસાદે વિરામ લેતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા હતા અને પાક નિષ્ફળ જવાની ભીતિ સતાવી રહી હતી.
આ તમામ ચિંતાઓ વચ્ચે આજે દ્વારકા ના ભાણવડ તાલુકામાં મેહુલિયાએ મહેર કરી છે અને સુકાતા પાકને નવજીવન મળ્યુ છે. મેવાસા, ગુંદા અને ઘુમલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે સવારથી મેઘરાજાએ મહેર વરસાવી છે. બીજી તરફ ધરતીપુત્રોના જીવમાં પણ જીવ આવ્યો છે. સુકાતા પાક પર કાચા સોના જેવો વરસાદ વરસતા પાકને જીવતદાન મળ્યુ છે અને હવે ફરી પાક લહેરાવા લાગશે તેવી આશા ખેડૂતો સેવી રહ્યા છે.
Input Credit- Jay Goswami- Dwarka
