તહેવારો ટાણે ખાંડની અછતની ભીતિ વચ્ચે રાજ્ય સરકારનો મોટો નિર્ણય, ખાંડ વિતરણની મુદ્દત લંબાવાઈ
ગુજરાત સરકારે ખાંડની અછતની ભીતિ વચ્ચે મહત્વનો નિર્ણય લીધો છે. સપ્ટેમ્બર 2026 માટે ખાંડ સહિતની આવશ્યક જણસીઓના વિતરણ માટે ચલણ ભરવાની મુદત 3 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે. તહેવારોને ધ્યાનમાં રાખીને અંત્યોદય અને BPL કાર્ડધારકોને પૂરતા પ્રમાણમાં રાહત દરે ખાંડ મળી રહે તેની ખાતરી સરકારે આપી છે.
ગુજરાત રાજ્યમાં ખાંડની અછત અંગે વ્યાપેલી ભીતિ વચ્ચે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સપ્ટેમ્બર 2026 મહિના માટે ખાંડ સહિતની આવશ્યક જણસીઓના વિતરણ માટે ચલણ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. આ નિર્ણય મુજબ, તહેવારોના સમયગાળાને ધ્યાનમાં રાખીને લાભાર્થીઓ હવે 3 સપ્ટેમ્બર સુધી ચલણ ભરી શકશે.
સરકાર દ્વારા ખાંડના જથ્થા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજ્ય સરકારે જણાવ્યું છે કે અંત્યોદય અને BPL કાર્ડધારકો માટે પૂરતો ખાંડનો જથ્થો ઉપલબ્ધ છે. સપ્ટેમ્બર મહિનામાં કુલ 4,500 મેટ્રિક ટન ખાંડની ફાળવણી કરવામાં આવશે. અંત્યોદય કાર્ડધારકોને ₹15 પ્રતિ કિલોના દરે ખાંડ મળશે, જ્યારે BPL કાર્ડધારકોને ₹22 પ્રતિ કિલોના રાહત દરે ખાંડનું વિતરણ કરાશે.
નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં પણ અગાઉથી જ 7,100 મેટ્રિક ટન ખાંડનું વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના આ પગલાથી તહેવારો દરમિયાન નાગરિકોને તેમની જરૂરિયાત મુજબ ખાંડ સમયસર મળી રહેશે અને કોઈ અછતનો સામનો કરવો પડશે નહીં તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ નિર્ણયથી લાખો રેશનકાર્ડ ધારકોને રાહત મળશે.
Input Credit- Ronak Varma- Gandhinagar
