Breaking News: નબળા ચોમાસાની મોટી અસર! ગુજરાતના જળાશયો તરસ્યા, 207માંથી માત્ર 20 જ છલોછલ! 76 ડેમમાં 25%થી ઓછું પાણી, જુઓ Video
રાજ્યમાં નબળા ચોમાસાની અસર હવે જળાશયો પર પણ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મોટા ભાગના જિલ્લાઓમાં સિઝનના સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાતા રાજ્યના 207 જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની છે.
રાજ્યમાં આ વર્ષે નબળા ચોમાસાની અસર હવે જળાશયોના જળસંગ્રહ પર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મોટા ભાગના જિલ્લાઓમાં સિઝનના સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક જળાશયોમાં પાણીની આવક ઘટી છે.
ગત વર્ષે 86 જળાશયો સંપૂર્ણ ભરાયેલા હતા
રાજ્યના કુલ 207 જળાશયોમાંથી હાલ માત્ર 20 જળાશયો છલોછલ ભરાયેલા છે. જ્યારે ગત વર્ષે 6 સપ્ટેમ્બરના રોજ 86 જળાશયો સંપૂર્ણ ભરાયેલા હતા. આમ, એક વર્ષમાં છલોછલ જળાશયોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. હાલ 207 જળાશયોમાં સરેરાશ 74.89 ટકા જળસ્તર છે, જ્યારે ગત વર્ષે આ સમયગાળામાં સરેરાશ જળસ્તર 86.64 ટકા હતું.
ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધુ ચિંતા
જળસંગ્રહની દૃષ્ટિએ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. રાજ્યના 76 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી પણ નીચે પહોંચી ગયું છે. ઓછા વરસાદને કારણે આગામી દિવસોમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પડકાર ઊભો થઈ શકે છે.
સરદાર સરોવર ડેમમાં 90.31 ટકા જળસ્તર
ચિંતાજનક સ્થિતિ વચ્ચે રાજ્ય માટે રાહતના સમાચાર પણ છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ જળસ્તર વધીને 90.31 ટકા થયું છે. આમ, એક તરફ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જળાશયો ચિંતાનો વિષય બન્યા છે, તો બીજી તરફ સરદાર સરોવર ડેમમાં સંતોષકારક જળસંગ્રહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- Gir Somnath News: શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં ઉમટ્યુ ભક્તોનું ઘોડાપૂર, જુઓ Video