ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં તાપમાનમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આગામી દિવસોમાં ગરમીમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં ખાસ કરીને કાંઠા વિસ્તાર તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી કરવામાં આવી છે. દિવસ દરમિયાન તીવ્ર તાપ અને ગરમ પવનોના કારણે જનજીવન પર અસર પડવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, રાજ્યમાં આગામી 15 એપ્રિલ સુધી આકરી ગરમી યથાવત રહેવાની સંભાવના છે. ખાસ કરીને બપોરના સમયે બહાર નીકળતા લોકો માટે સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે હીટવેવ જેવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે.
હવામાન નિષ્ણાતોએ લોકોને પૂરતું પાણી પીવું, સીધા સૂર્યપ્રકાશથી બચવું અને જરૂરી ન હોય તો બપોરના સમયે બહાર ન નીકળવાની સલાહ આપી છે. બાળકો, વૃદ્ધો અને બીમાર વ્યક્તિઓને વિશેષ કાળજી રાખવા જણાવવામાં આવ્યું છે. આ ગરમીના પ્રભાવને ધ્યાનમાં રાખીને રાજ્યના આરોગ્ય વિભાગે પણ એલર્ટ મોડ પર કામ શરૂ કર્યું છે અને જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો- Breaking News : એક ઝાટકામાં ઊંઘ ઉડી ગઈ! ભૂકંપથી રાજુલા-જાફરાબાદમાં ભયનો માહોલ જુઓ Video