કચ્છના પશુપાલકોને મોટી રાહત: સરકારે ₹2ના ભાવે ઘાસચારો આપવાની કરી જાહેરાત, જાણો કોને મળશે લાભ
કચ્છમાં ઓછા વરસાદને કારણે ઘાસચારાની સર્જાયેલી અછત વચ્ચે રાજ્ય સરકારે માલધારીઓ માટે મોટી રાહત જાહેર કરી છે. પશુપાલકોને હવે પ્રતિ કિલો માત્ર 2 રૂપિયાના ભાવે સૂકો ઘાસચારો પૂરો પાડવામાં આવશે.
કચ્છ જિલ્લામાં ચોમાસું ખેંચાતા અને બન્ની સહિતના વિસ્તારોમાં ઘાસ-પાણીની તીવ્ર અછત સર્જાતા પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બજારમાં ઘાસના ભાવ વધીને ₹22 સુધી પહોંચી ગયા છે, જ્યારે ખોળ અને ભૂસાના ભાવમાં પણ ધરખમ વધારો થતાં દૂધાળા પશુઓની ક્ષમતા અડધી થઈ ગઈ છે. આ કફોડી સ્થિતિ વચ્ચે કચ્છ કલેક્ટરની દરખાસ્ત સ્વીકારીને રાજ્ય સરકારે સબસિડીવાળા ઘાસચારાની જાહેરાત કરી છે.
નવા નિયમો મુજબ, નાના-સીમાંત ખેડૂતો અને માલધારીઓને પશુદીઠ દરરોજ 4 કિલો સૂકો ઘાસચારો ₹2 પ્રતિ કિલોના રાહત દરે મળશે. આ યોજના હેઠળ એક ઘાસ કાર્ડ પર વધુમાં વધુ 5 પશુઓનો સમાવેશ કરી શકાશે અને એક વખતમાં 7 દિવસનો જથ્થો અપાશે.
ફોટાવાળા ઘાસ કાર્ડના આધારે વન વિભાગના ડેપો તેમજ નવા શરૂ થનારા કેન્દ્રો પરથી વિતરણ કરાશે. ઠરાવ અમલમાં આવ્યા બાદ 15 દિવસ સુધી ચાલનારી આ સમગ્ર વ્યવસ્થાની દેખરેખ કચ્છ કલેક્ટર રાખશે અને તેનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.