લોકશાહીના ઉત્સવ સમી ચૂંટણીમાં એક એક મત કિમતી હોય છે ત્યારે રાજ્યના કોઈ પણ નાગરિક મતદાન કર્યા વિના રહી ન જાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાતની ચૂંટણીઓ માટે ચૂંટણીપંચ દ્વારા 12 નવા મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. આ બધામાં સૌથી વધુ ચર્ચા નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારના અંતરિયા રિંગાપાદર ગામની છે જ્યાં 75 વર્ષ બાદ મતદાન મથક બન્યું છે. અંતરિયાળ ગામ એવા રિંગા પાદરની પ્રાથમિક શાળામાં મતદાન મથક ઉભું કરવામાં આવશે.
આ વર્ષે ગ્રામવાસીઓને 7 કિલોમીટર દૂર મતદાન કરવા નહીં જવું પડે. ગાઢ જંગલ અને પર્વતોમાં ઘેરાયેલા આ ગામમાં 131 મતદારો રહે છે. અંતરિયાળ રહેતા વિવિધ જિલ્લાના ગ્રામજનોની રજૂઆતના પગલે ચૂંટણી પંચે જે 12 નવા મતદાન મથક જાહેર કર્યાં છે તેમાં રિંગાપાદરનો પણ સમાવેશ થાય છે. આ ગામમાં આદીવાસી લોકો રહે છે.. ગામમાં મતદાન મથક જાહેર થતા લોકો ખૂબ જ ખુશ છે. અંતરિયાળ ગામની મુશ્કેલીઓ અલગ જ હોય છે અહીં કુદરત પગલે પગલે પરીક્ષા લેતું હોય છે ત્યારે ગ્રામજનો આ બાબતે ખુશ છે કે તેમને આટલા વર્ષે મતદાન મથક મળ્યું છે. આ ગામમાં વીજળી પણ માંડ માંડ મળે છે ત્યારે ગ્રામજનો મતદાન મથક મળવાને કારણે હરખાઈ ગયા હતા. હવે જોવાનું એ રહે છે કે હોશે હોશે મતદાન કરનારા આ ગ્રામિણોની પાયાની જરૂરિયાતો કયો પક્ષ પૂરી કરશે ?
નર્મદા નદીની મધ્યમાં આવેલા અલિયા બેટના 212 મતદારો માટે શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક ઉભું કરાયું છે. અહીંના લોકોને અગાઉ મતદાન માટે 82 કિલોમીટર દૂર વાગરા તાલુકાના કલાદરા ગામમાં જવું પડતું હતું, પરંતુ આ વખતની 2022ની ચૂંટણીમાં અલાયદા મતદાન મથકમાં જરૂરિયાતની તમામ વ્યવસ્થા રહેશે.
મતદાન માટે બુથ ઉભું કરવામાં આવતા સ્થાનિકોએ તંત્રનો આભાર માન્યો હતો. ગુજરાતના ભરૂચ નજીક અલિયા બેટ ટાપુ આવેલો છે. વર્ષ 2021 માં સ્થાનિકો ચૂંટણીઓમાં પંચે પ્રથમ વખત અહીં મતદાન મથક બનાવ્યું હતું. તે સમયે મતદાન મથકમા 204 મતદારોએ વોટ આપ્યો હતો.