ગીરમાં 8 સિહોના મોત બાદ હજુ સુધી લેબ રિપોર્ટ ન આવતા ઉઠ્યા સવાલ, રહસ્યમય વાયરસને લઈને વનવિભાગ સામે શંકાની સોય
ગીરના સિંહો એ દેશની શાન છે અને ગુજરાત માટે આ ઘરેણા સમાન છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ગીરના સાવજ પર સંકટના વાદળો ઘેરાયા છે અને એક બાદ એક 8 સિંહોના ભેદી સંજોગોમાં મૃત્યુ થયા છે. ત્યારે ન માત્ર વનવિભાગ પરંતુ રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે અને મંત્રીઓ દોડતા થયા છે. ગાંધીનગરમાં પણ અરણ્યભવન ખાતે સિંહોના મોત મામલે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી જેમા વનવિભાગના તમામ મોટા મોટા અધિકારીઓ સહિતના હાજર રહ્યા હતા.
છેલ્લા એક સપ્તાહમાં 8 સિંહોના ટપોટપ મોત થઈ ચુક્યા છે ત્યારે વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ જામવાળા જસાધાર એનિમલ કેર સેન્ટરની રૂબરૂ મુલાકાત લીધી હતી. હાલ વેટરનરી ડૉક્ટરોની એક ટીમ અને વનતારાની ટીમ પણ સિંહોની દેખરેખ માટે બોલાવવામાં આવી છે. હાલ 30 જેટલા સિંહોને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. સિંહોના મોત પાછળ કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ(CDV) જવાબદાર છે કે કેમ તેને લઈને હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યુ નથી. હજુ સુધી સિંહોના મોતનો રિપોર્ટ સામે આવ્યો નથી. હાલ 30 જેટલા સિંહોને ક્વોરેન્ટાઈન કરીને વનવિભાગ દ્વારા પણ પેટ્રોલિંગ વધારવામાં આવ્યુ છે
હાલ સિંહોમાં CD વાયરસને આશંકાને જોતા વન વિભાગના અધિકારીઓને પણ માસ્ક પહેરવા અંગે સૂચના આપવામાં આવી છે. વન વિભાગે સિંહોની તમામ હરકત પર સાવચેતીના પુરતા પગલાં લેવાનું શરૂકરી દીધું છે. હાલમાં 17 સિંહો પર ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. આ સાથે તેમને આઇસોલેટ કરીને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. તો સંક્રમિત સિંહોના જીવ બચાવવા માટે 12 વેટરનરી ડોક્ટરોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે કવોરન્ટાઇન ડોક્ટરોની આ ખાસ ટીમ સાથે વનતારાની ટીમ પણ જોડાઈ છે. સિંહમાં વેક્સિનેશન, ડીટેક્શન અને ડિવોર્મિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. ત્યારે એકતરફ વનવિભાગ દ્વારા એવો દાવો કરાઈ રહ્યો છે કે કેનાઈન ડિસ્ટેમ્પર વાયરસ (CDV)સિંહોમાં નથી, તો સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે તો શા માટે સિંહોને સતત રેસ્ક્યુ કરીને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી રહ્યા છે. હાલ વનવિભાગ પણ સિંહોના મોતને લઈને કંઈક છુપાવી રહ્યુ હોય તેવી આશંકા પણ સેવાઈ રહી છે.
આ તરફ વનમંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ ગીરની મુલાકાત લઈ સિંહોની સંભાળ અને રેસ્ક્યુ કામગીરીની સ્થિતિ અંગે વન વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.જો કે આ તમામ વચ્ચે સિંહોના મોતનો રિપોર્ટ 4 થી 5 દિવસ વિતવા છતા હજુ સુધી ન આવતા વનપ્રેમીઓમાં ચિંતા પ્રસરી છે.
Input Credit- Jaydev Kathi- Amreli
