AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરૂડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ કેમ નથી કરવામાં આવતા અંતિમ સંસ્કાર? જો કરવામાં આવે તો ક્યા દોષો લાગે?

હિંદુ ધર્મમાં જે 16 સંસ્કાર સૂચવ્યા છે તેમાંથી છેલ્લો સંસ્કાર છે અંતિમ સંસ્કાર. જ્યારે કોઈનું મૃત્યુ થઈ જાય છે તો તેના અંતિમ સંસ્કાર પણ સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. એવુ પણ માનવામાં આવે છે કે જેમના અંતિમ સંસ્કાર પુરા વિધિ વિધાન સાથે નથી કરવામાં આવતા તે મૃતાત્માને ક્યારેય મુક્તિ નથી મળતી અને તેમની આત્મા ભટક્તી રહે છે. જેને લઈને ગરુડ પુરાણમાં પણ એક માન્યતા છે કે અંતિમ સંસ્કાર ક્યારેય સૂર્યાસ્ત બાદ ન કરવા જોઈએ.  શા માટે છે આવો નિયમ-  આવો જાણીએ.

ગરૂડ પુરાણ અનુસાર હિંદુ ધર્મમાં સૂર્યાસ્ત બાદ કેમ નથી કરવામાં આવતા અંતિમ સંસ્કાર? જો કરવામાં આવે તો ક્યા દોષો લાગે?
| Updated on: May 31, 2026 | 3:30 PM
Share

હિંદુ ધર્મમાં રીત રિવાજો અને પરંપરાઓનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવે છે. કોઈપણ કાર્ય વિધિ-વિધાન વિના સંપન્ન નથી થતુ. હિંદુ ધર્મમાં જે 16 સંસ્કાર સૂચવ્યા છે તેમાંથી છેલ્લો સંસ્કાર છે અંતિમ સંસ્કાર. સનાતન ધર્મમાં સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર કરવાની સંપૂર્ણપણે મનાઈ કરવામાં આવી છે. ગરૂડ પુરાણ અનુસાર જો કોઈ લાચારી કે મજબુરીવશ રાત્રે મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા પડે તો જીવાત્માને બહુ કષ્ઠ વેઠવા પડે છે. રાત્રે અંતિમ સંસ્કાર ન કરવા પાછળનું સાચુ કારણ અને નિયમ વિશે જાણીએ.

સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર ન કરવાનું કારણ

ગરૂડ પુરાણ અને સનાતન ધર્મની પરંપરા અનુસાર, સૂર્ય અસ્ત થયા બાદ અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા. જો કોઈ વ્યક્તિનું મૃત્યુ સૂર્યાસ્ત બાદ થાય છે તો શબને સૂર્યોદય થાય ત્યાં સુધી સલામત રીતે રાખવામાં આવે છે અને સવારે અગ્નિસંસ્કાર કરવામાં આવે છે.

અસુર યોનિમાં જન્મનો ભય

ગરૂડ પુરાણ અનુસાર, સૂર્યાસ્ત પછી સ્વર્ગલોકના દરવાજા બંધ થઈ જાય છે અને યમલોકના દ્વાર ખુલી જાય છે અને રાત્રિના સમયે નકારાત્મક શક્તિઓે, અસુર અને પિશાચ વધુ સક્રિય થઈ જાય છે. માન્યતા એવી પણ છે કે જો રાત્રે દાહ સંસ્કાર કરવામાં આવે તો જીવાત્માને પરલોક જવામાં કષ્ટ ભોગવવા પડે છે, તેમને નર્કની પીડા ભોગવવી પડે છે, તે અસુર, પિશાચ કે દાનવ યોનિમાં જન્મ લઈ શકે છે. તેમની આત્માને મુક્તિ નથી મળતી.

આગલા જન્મમાં દોષ

એવી માન્યતા છે કે રાત્રે અંતિમ સંસ્કાર કરવાથી મૃતાત્માની આત્માને શાંતિ નથી મળતી અને તેના બીજા જન્મમાં જીવને કોઈને કોઈ શારીરિક કે માનસિક દોષ (વિકલાંગતા) ભોગવવા પડી શકે છે. બીજા જન્મમાં તે શારીરિક કે માનસિક વિકલાંગ જન્મી શકે છે.

શું દોષ લાગે?

સૂર્યાસ્ત પછી અંતિમ સંસ્કાર કરવા શાસ્ત્રો અનુસાર અયોગ્ય માનવામાં આવે છે. શોકગ્રસ્ત પરિવાર અને અંતિમ સંસ્કારમાં ભાગ લેનારા બંનેને આદ્યાત્મિક દોષ લાગે છે.

કેવી પરિસ્થિતિમાં રાત્રે અંતિમ સંસ્કાર કરવાની અપાઈ છે છૂટ?

શાસ્ત્રો અનુસાર, અત્યંત અસાધારણ અને વિષમ પરિસ્થિતિમાં જ રાત્રે અંતિમ સંસ્કાર કરવાની છૂટ અપાઈ છે, પરંતુ તેના માટેના પણ ઘણા કડક નિયમો છે.

મહામારી કે આપદાની સ્થિતિ: જો દેશ કે રાજ્યમાં કોઈ મોટી મહામારી, યુદ્ધ કે કુદરતી આપદા આવી હોય અને શબને રાખવુ શક્ય ન હોય તેવી સ્થિતિમાં રાત્રે અંતિમ સંસ્કાર કરી શકાય છે.

શબ ખરાબ થવાની કે સડવાની સ્થિતિમાં: જો શબ અત્યંત ક્ષત-વિક્ષત થઈ ગયુ હોય અથવા કોઈ ગંભીર જીવલેણ બીમારીને કારણે બહુ ઝડપથી સડી રહ્યુ હોય, જેનાથી ચેપ ફેલાવાનું જોખમ હોય તેવા મૃતાત્માના શબને સાચવવા કરતા તત્કાલ અંતિમ સંસ્કાર કરી દેવા કહેવાયુ છે.

રાત્રે અંતિમ સંસ્કાર કરવા પડે તો તેના માટેના વિશેષ નિયમો

જો કોઈ આપાતકાલિન સ્થિતિમાં રાત્રે અંતિમ સંસ્કાર કરવા જ પડે તો ગરુડ પુરાણ અનુસાર મૃતાત્માને દોષથી બચાવવા અને તેમા સામેલ થનારા માટે  ‘દોષ નિવારણ સંસ્કાર’ કરવામાં આવે છે. જે અંતર્ગત સૂર્યનારાયણ દેવની સોનાની, ચાંદીની અથવા તો લોટમાંથી એક પ્રતિકાત્મક મૂર્તિ બનાવી તેને મૃતદેહની સાથે ચિતા પર રાખવામાં આવે છે અને એ સૂર્યદેવને સાક્ષી માનીને અગ્નિદાહ કરવામાં આવે છે.

પંચતત્વોનું બનેલુ છે આપણુ શરીર

શાસ્ત્રો અનુસાર માનવ શરીર પંચ તત્વોનું બનેલુ છે. જેમા પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ સામેલ છે. જ્યારે વ્યક્તિના દાહ સંસ્કાર કરવામાં આવે છે તો અંતિમ સંસ્કારના રૂપે તે પંચ તત્વોમાં વિલિન થઈ જાય છે. જ્યાંથી આવે છે તેમાં જ સમાઈ જાય છે. એટલે જ પંચમહાભૂતમાં વિલિન એવુ કહેવામાં આવે છે. ત્યારબાદ આત્મા અન્ય શરીરમાં પ્રવેશવા માટે તૈયાર થઈ જાય છે. જો અંતિમ સંસ્કાર વિધિ વિધાનથી નથી કરવામાં આવતા તો આત્માને મુક્તિ નથી મળતી અને તે ભટક્તી રહે છે. એવી આત્મા ને ના તો પૃથ્વીલોકમાં સ્થાન મળે છે ના તો પરલોકમાં. બંને વચ્ચે તે ભટક્તી રહી જાય છે. આવી આત્માઓને પ્રેતલોકમાં સ્થાન મળે છે. આવી આત્માઓ પ્રેત યોનિમાં જન્મ લે છે.

અગ્નિ સંસ્કાર માટેના નિયમ

જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેના ગમે ત્યારે અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા. શાસ્ત્રો અનુસાર અગ્નિ સંસ્કાર કરવા માટેના પણ કેટલાક નિયમો છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર જો વ્યક્તિનું રાત્રે થાય છે અથવા તો સૂર્યાસ્ત બાદ થાય છે તો તેના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ નથી કરવામાં આવતા. તેના શબને રાત્રે ઘરમાં તુલસી ક્યારા નજીક રાખવામાં આવે છે અને શબની બાજુમાં એક દીવો પ્રગટાવીને રાખવામાં આવે છે.

ત્યારબાદ સવારે સૂર્યોદય થતા જ શબને સ્મશાન ઘાટ પર લઈ જવામાં આવે છે અને ત્યાં અંતિમ સંસ્કારની વિધિ પૂર્ણ કરવામાં આવે છે. જો સૂર્યાસ્ત થયા બાદ શબના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે તો તે શાસ્ત્રો વિરુદ્ધ ગણાય છે. આ સાથે જ જો કોઈ વ્યક્તિનું મૃત્યુ દિવસે થાય છે તો તેના અંતિમ સંસ્કાર પણ સૂર્યાસ્ત પહેલા જ કરવામાં આવે છે. સૂર્ય ઢળ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં નથી આવતા.

ગરુડ પુરાણ અનુસાર આત્માનો કારક ગણાય છે સૂર્ય

આપણા શાસ્ત્રોમાં અને ગરૂડ પુરાણમાં કહેવાયુ છે કે જ્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે તેને સૂર્યાસ્ત પછી અગ્નિનદાહ નથી અપાતો. જેની પાછળ એવુ કહેવાયુ છે કે જ્યારે મૃતાત્મા તેની આગલા જન્મ તરફ પ્રયાણ કરી રહ્યો હોય ત્યારે સૂર્યાસ્ત પછી અગ્નિદાહ ન આપવો જોઈએ. આવુ કરવાથી મૃતાત્માને મોક્ષપ્રાપ્તિ નથી થતી. જ્યારે સૂર્યાસ્ત પહેલા આપણે અગ્નિદાહ કરી છીએ તો એ આત્માની પ્રગતિ થાય છે. તેમનો પછીનો માર્ગ-જન્મ વધુ સરળ અને પ્રગતિશીલ બને છે.

કોણ આપી શકે અગ્નિદાહ?

ગરૂડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે મૃતાત્માનો પુત્ર,  ભાઈ, ભત્રીજો, પતિ, અથવા પિતા જ તેના અંતિમ સંસ્કાર કરી શકે છે. જો કોઈ વ્યક્તિને મૃત્યુ પામે છે અને તેનો પુત્ર, ભાઈ, ભત્રીજો કે પતિ કે પિતા હાજર ન હોય અથવા તો મૃત્યુ પામ્યા હોય તેવા સંજોગોમાં દીકરીનો પુત્ર ભાણેજ પણ અંતિમ સંસ્કાર આપી શકે છે.

શું છે ગરૂડ પુરાણ?

ગરુડ પુરાણના અધિપતિ ભગવાન વિષ્ણુ છે. ગરુડપુરાણ એ  પક્ષીરાજ ગરૂડ અને ભગવાન વિષ્ણુ વચ્ચેનો સંવાદ છે. જેમા ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ મૃત્યુ, જીવન, પૃથ્વીલોક, યમલોક, પરલોક, સ્વર્ગ, નર્ક વિશે સવાલો કરે છે અને ભગવાન વિષ્ણુ એ સવાલોના જવાબ આપે છે. ગરૂડ અને વિષ્ણુ વચ્ચેનો આ સંવાદ મૃત્યુ પછીના રહસ્યોને ઉજાગર કરે છે. ગરૂડ પુરાણમાં કુલ 271 આદ્યાય છે. જેમા 35 એવા આદ્યાય છે જ્યાં મૃત્યુ પછી વ્યક્તિને તેના કર્મ પ્રમાણે સજા મળે છે.  આ સાથે આપણા શાસ્ત્રોમાં એ પણ જણાવાયુ છે કે સામાન્ય દિવસોમાં ગરૂડ પુરાણનું વાચન ન કરવુ જોઈએ. તેનુ વાચન કોઈપણ વ્યક્તિના મૃત્યુ પછી જ નક્કી કરવામાં આવ્યુ છે.

ધાર ભોજશાળા: જ્યાં કાલિદાસ અને બાણભટ્ટ વિદ્યા વહેંચતા, સરસ્વતીનું એ પવિત્ર ધામ જે ફરી ગુંજશે વેદ મંત્રોથી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">