સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર, મે 2024માં કાર ઓવરટેક મામલે હતી ફરિયાદ- Video
રાજકોટના ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ સામેના મારામારી અને અપહરણના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. મે 2024માં જુનાગઢમાં કાર ઓવરટેક કરવા બાબતે થયેલી માથાકૂટ બાદ ગણેશ ગોંડલ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કોર્ટે આજે તેમને નિર્દોષ જાહેર કર્યા છે.
રાજકોટના ગોંડલ તાલુકાના ધારાસભ્ય ગીતા બા જાડેજા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલને મારામારી અને અપહરણ કેસમાં કોર્ટ દ્વારા મોટી રાહત મળી છે. મે 2024ના રોજ જુનાગઢમાં કાર ઓવરટેક કરવા બાબતે થયેલી માથાકૂટ બાદ ગણેશ ગોંડલ વિરુદ્ધ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ આ કેસ ઘણો ચર્ચાસ્પદ બન્યો હતો. કારણ કે ગણેશ ગોંડલની ત્યાંના સ્થાનિક આગેવાન રાજુ સોલંકી અને તેના પુત્ર સંજય સોલંકી સાથે માથાકૂટ થઈ હતી. જે બાદ સંજય સોલંકીના અપહરણ અને મારામારીની ગણેશ ગોંડલ સામે ફરિયાદ નોંધાઈ હતી. રાજ્યભરમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
આ કેસમાં કોર્ટે આજે ચુકાદો સંભળાવ્યો છે અને ગણેશ ગોંડલ સહિત ફરિયાદમાં જે પણ લોકોના નામ હતા તે તમામને નિર્દોષ જાહેર કર્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે ડિસેમ્બર 2025માં રાજુ સોલંકી અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા આ બંને વચ્ચે બારોબાર સમાધાન થયુ હતુ. અને આ મામલે જે કંઈ વિવાદ હતો તે પૂર્ણ થયો હતો. જો કે કાયદાકીય પ્રક્રિયાનો અંત આજે આવ્યો છે. આ સમગ્ર કેસમાં સમાધાનને લગતી સમગ્ર પ્રક્રિયાઓ પણ પુરી કરવામાં આવી હતી અને તેના આધારે કોર્ટે પુરાવાના અભાવે આ તમામ લોકોને નિર્દોષ જાહેર કર્યા છે.
