Gandhianagar : કોરોનાને કારણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ, રાજ્યના ચૂંટણીપંચે કરી જાહેરાત
Gandhianagar : કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવા કોંગ્રેસ, AAP અને CM રૂપાણીએ ચૂંટણીપંચને પત્ર લખ્યો હતો.
Gandhianagar : રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં દિવસેને દિવસે કોરોનાના નવા કેસો અને એક્ટીવ કેસો સાથે મૃત્યુમાં પણ વધારો થઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી હતી, પરંતુ રાજકીય પક્ષો અને મુખ્યપ્રધાન રૂપાણીની રજૂઆતને પગલે આખરે રાજ્યના ચૂંટણીપંચે આ ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.
ચૂંટણી મોકૂફની રાજ્યના ચૂંટણીપંચે કરી જાહેરાત
દેશ સહીત રાજ્યમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. રાજ્યમાં કોરોનાના નાવા કેસો અને મૃત્યુઆંક દરરોજ નવા રેકોર્ડ સર્જે છે. ખાસ કરીને રાજ્યના મહાનગરોમાં સ્થિતિ અત્યંત ખરાબ છે. આવા સમયે 18 એપ્રિલે Gandhianagar મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવા જઈ રહી હતી. કોરોનાના સંક્રમણ વચ્ચે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જનતા માટે ઘાતક પુરવાર થઇ શકે એમ હતી. જો કે રાજકીય પક્ષો અને CM રૂપાણીની રજૂઆતના પગલે રાજ્યના ચૂંટણીપંચે આ ચૂંટણી મોકૂફ રાખવાની જાહેરાત કરી છે.ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ત્યારે જ પત્રકારોએ રાજ્ય ચૂંટણીપંંચના વડા સંજય પ્રસાદને કોરોનાકાળમાં ચૂંટણી કરવી કેટલી યોગ્ય તેવો સવાલ કર્યો હતો ? પરંતુ રાજ્ય ચૂંટણી કમિશનર સંજય પ્રસાદે ગાંધીનગરના મતદારો શિક્ષીત છે. કોરોનાની તમામ ગાઈડલાઈનનું પાલન કરશે તેવો જવાબ આપીને પ્રશ્ન ઉડાવી દીધો હતો.
CM રૂપાણી, કોંગ્રેસ, AAPએ કરી હતી રજૂઆત
કોરોનાને કારણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી મોકૂફ રાખવા સૌથી પહેલા કોંગ્રેસ ત્યારબાદ AAP અને ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના ચૂંટણીપંચને પત્ર લખી રજૂઆત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ-ભાજપના પ્રદેશ પ્રમુખોએ પણ રજૂઆત કરી હતી.રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને હવે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને આડે એક જ સપ્તાહ બાકી રહ્યું છે તેને ધ્યાને લઈને રાજ્યના ચૂંટણીપંછે હાલ પુરતી આ ચૂંટણી સ્થગિત કરી દીધી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુક્રવારે રાજ્ય ચૂંટણી પંચને પત્ર લખી ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હાલ ન યોજવા રજૂઆત કરી હતી. 18 એપ્રિલે મતદાન થવાનું હતું. અને 20 એપ્રિલે મતગણતરી થવાની હતી.કોરોનાની સ્થિતિ સામાન્ય બનતા જ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી યોજવાની જાહેરાત કરાશે.
જાણો શુ હતો ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ
તારીખ | વિગત |
27-03-2021 | ચૂંટણીનુ જાહેરનામુ બહાર પાડવાની તારીખ |
1-04-2021 | ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ |
3-042021 | ભરાયેલા ઉમેદવારી પત્ર ચકાસવાની તારીખ |
5-04-2021 | ઉમેદવારી પત્ર પાછા ખેચવાનો છેલ્લો દિવસ |
18-04-2021 | મતદાન ( સવારના 7થી સાંજના 6 સુધી) |
19-04-2021 | જરૂર પડ્યે પુનઃમતદાન |
20-04-2021 | મતગણતરી |